(G.N.S) Dt. 17
અમદાવાદ,
નવજાત શિશુઓ માટેના અત્યાધુનિક વેન્ટિલેટરથી ઈમરજન્સી સારવાર વધુ સુદ્રઢ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનસેવાના બે મહત્વપૂર્ણ પ્રકલ્પો – અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
“રક્તદાન કરો, જીવન બચાવો” ના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
શ્રી અમિત શાહની સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ મોબાઇલ બ્લડ કલેક્શન વાન આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ છે. આ વાન દ્વારા શહેરના છેવાડાના અને વંચિત વિસ્તારોમાં જઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શકાશે. જેના કારણે રક્ત એકત્રીકરણની પ્રક્રિયા સરળ બનશે અને ઈમરજન્સી સમયે લોહીની જરૂરિયાતને ઝડપથી પૂરી કરી શકાશે.
બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેતા, હોસ્પિટલને (નિયોનેટલ) વેન્ટિલેટરનું પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર અત્યંત ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને તાત્કાલિક જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં પથદર્શક સાબિત થશે.
આ નવી સુવિધાઓ ગુજરાતની આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અત્યાધુનિક સાધનોના ઉમેરાથી સામાન્ય નાગરિકોને ઘર આંગણે શ્રેષ્ઠ સારવાર મળી રહેશે.
આ લોકાર્પણ સમારોહમાં આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજીવ ટોપનો, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સોલા સિવિલ હોસ્પિટલના તબીબો અને કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

