વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માંગ ઉઠી
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ગત ટમૅના સભ્યો વચ્ચે અંદરો અંદરના વિખવાદને કારણે શહેરીજનો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા હોય ત્યારે છેલ્લા 20 વર્ષથી શહેરના ગાયત્રી મંદિર પાસે આનંદ સરોવરના પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલ રહિશોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ ની માગ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને પોતાના સોસાયટી મા કામ નહિ તો વોટ નહિ ના બેનર લગાવતા આ વિસ્તારમાં ચુટણી લડતા રાજકીય પાર્ટીના ઉમેદવારોમા સનસનાટી મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે.
ચિત્રકૂટ સોસાયટી પરિવાર દ્વારા લગાવેલ બેનરમાં ઉલ્લેખ કર્યો છે કે, અમારી સસાયટીમાં છેલ્લા 20 વર્ષ થી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. અને વરસાદી પાણી ભરાય એટલે આજુબાજુની સોસાયટીનો કચરો અમારી સોસાયટીમાં આવે છે. જેનું આજદિન સુંધી કોઈ નિવારણ કરેલ નથી. તથા અમારી સોસાયટીના રહીશો મધ્યમવર્ગના હોવાથી સોસાયટીના અંદરનો રોડ પણ બનાવેલ નથી. બાજુમા આનંદ સરોવરઆવેલ હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ ખુબ વધેલ છે. પરંતુ એની પણ સફાઈ કરવામાં આવતી નથી તેથી અમારી સોસાયટીના બાળકો કે વડીલોને બિમારીનો સામનો કરવો પડે છે.
સોસાયટી દ્રારા કલેકટરના સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરેલ જેથી કલેકટર એ 4 માસનો સમય આપેલો હતો પણ એ વાત ને આજે આઠ માસ જેટલો સમય થઈ ગયો છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી. ત્યારે સોસાયટી પરિવારની ઉપરોક્ત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ સાથે આગામી સ્વરાજયની ચૂટણીમાં કોઈપણ રાજકીય પક્ષે અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવુ નહી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સોસાયટી પલિવારના શૈલેષભાઈ નાયીએ જણાવ્યું હતું.





