પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ભારત મુક્તિ મોરચા, રાષ્ટ્રીય પીછડા વર્ગ (ઓબીસી) મોરચા, બહુજન ક્રાંતિ મોરચા તથા રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના સંયુક્ત ઉપક્રમે “ઇવીએમ મશીન હટાવો – લોકતંત્ર બચાવો, બેલેટ પેપરથી ચૂંટણી યોજો” જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર ગોષ્ઠિ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને “જય ભીમ, જય સંવિધાન, જય મૂળનિવાસી” ના નારાઓ સાથે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બૌદ્ધ ભિક્ષુ પથિક ભન્તેએ સમાનતા અને ભાઈચારાના બૌદ્ધ વિચારોથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન રવિન્દ્રસિંહ બિદાવત (રાષ્ટ્રીય પ્રભારી, ક્ષત્રિય મૂળનિવાસી મહાસંઘ) દ્વારા કરવામાં આવ્યું હતું. વિચાર ગોષ્ઠિ દરમિયાન ઇવીએમ મશીનો દૂર કરીને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ સાથે ઓબીસી વર્ગની જાતિ આધારિત વસ્તી ગણતરી ન થવી, યુવાઓને કાયમી નોકરીના બદલે કરાર આધારિત ભરતીથી નુકસાન થતું હોવું જેવા મુદ્દાઓ પર ગંભીર ચિંતન વ્યક્ત કરવામાં આવ્યું હતું. વિવિધ નિવૃત અધિકારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા પણ પોતાના વક્તવ્યમાં સામાજિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લોકશાહી પ્રણાલીના વિવિધ સ્તંભો પર ચર્ચા કરવામાં આવી હતી. અને સમાજના પછાત વર્ગોના હક્ક-અધિકારો અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.





