પ્રકાશ શોપિંગ સેન્ટર આસપાસ કાદવ-કીચડનું સામ્રાજ્ય : નાગરિકોમાં રોષ, “વચનો નહીં, હવે કામ જોઈએ”
રાધનપુર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે મીરાદરવાજા થી પટણી દરવાજા બ્લોકેજ ગટર અને રોડ પરની આ દુર્દશા તંત્ર માટે શરમજનક પરિસ્થિતિ બની
રાધનપુર શહેરમાં વિકાસના મોટા મોટા દાવાઓ અને રાજકીય મંચો પરથી થતી જાહેરાતો વચ્ચે શહેરની વાસ્તવિક સ્થિતિ હવે ખુલ્લી આંખે દેખાઈ રહી છે. શહેરના મીરાદરવાજા થી પટણી દરવાજા રોડ પર, પ્રકાશ શોપિંગ સેન્ટર નજીક ગંદકી, ઉભરાતી ગટરો, કચરાના ઢગલા, તૂટેલા રસ્તાઓ અને રોડ પર ફરી વળતા ગંદા પાણીના કારણે સ્થાનિક લોકો, વેપારીઓ અને રોજિંદા અવરજવર કરતા નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
એક તરફ શહેરના વિકાસની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ શહેરના મુખ્ય વિસ્તારમાં જ મૂળભૂત નાગરિક સુવિધાઓનો અભાવ લોકોમાં ભારે અસંતોષ પેદા કરી રહ્યો છે. વિસ્તારની હાલત એવી બની ગઈ છે કે અહીંથી પસાર થવું પણ લોકો માટે મુશ્કેલીભર્યું બની ગયું છે. રોડ પર ગંદુ પાણી ભરાઈ રહેવું, ગટરોમાંથી નીકળતી દુર્ગંધ, કાદવ-કીચડ અને કચરાના ઢગલાઓએ સમગ્ર વિસ્તારને અસ્વચ્છ અને અસહ્ય બનાવી દીધો છે. સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યા મુજબ, આ સમસ્યા કોઈ એકાદ દિવસની નથી પરંતુ લાંબા સમયથી યથાવત છે. વારંવાર ગટરો ઉભરાવા, ગંદુ પાણી રસ્તા પર ફરી વળવા અને કચરાની સમયસર સફાઈ ન થવાને કારણે વિસ્તારના લોકો રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, નગરપાલિકા અને સંબંધિત તંત્ર પાસે અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ ગંભીર અને અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી.
વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, ગટરના પાણી અને તૂટેલા રસ્તાના દૃશ્યો જોવા મળે છે. આ પરિસ્થિતિએ માત્ર નાગરિકોની મુશ્કેલીઓ જ વધારી નથી, પરંતુ તંત્રના વિકાસના દાવાઓ પર પણ સીધો સવાલ ઉભો કર્યો છે. ખાસ કરીને પ્રકાશ શોપિંગ સેન્ટર આસપાસનો વિસ્તાર હાલ એવી સ્થિતિમાં પહોંચી ગયો છે કે જ્યાં વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે, પાદચારીઓને રસ્તો પાર કરવો મુશ્કેલ બને છે અને વેપારીઓને પોતાના ધંધા પર પણ સીધી અસર પડી રહી છે.સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ ઉઠી રહ્યો છે કે, પ્રજાની સમસ્યાઓ માત્ર ચૂંટણીના દિવસોમાં જ તંત્ર અને નેતાઓને યાદ આવે છે, જ્યારે બાકીના સમયગાળામાં સામાન્ય નાગરિકોને ગંદકી, ગટર અને તૂટેલા રસ્તાઓ વચ્ચે જ જીવવું પડે છે. વિસ્તારના લોકોમાં હવે એવી લાગણી વધુ મજબૂત બની રહી છે કે, “વિકાસ” માત્ર ભાષણો, બેનરો અને કાગળો સુધી મર્યાદિત રહી ગયો છે, જ્યારે જમીન પર હકીકત એકદમ વિપરીત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે અને વિવિધ પક્ષો દ્વારા વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરના મધ્ય વિસ્તારમાં જ આવી દયનીય સ્થિતિ જોવા મળતા નાગરિકો હવે ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો શહેરના મુખ્ય અને વેપારી વિસ્તારમાં જ આવી હાલત હોય તો બાકીના વિસ્તારોમાં પરિસ્થિતિ કેટલી ગંભીર હશે? આ સવાલ હવે માત્ર સ્થાનિકોનો નહીં, પરંતુ સમગ્ર શહેરના નાગરિકોની ચિંતા બની રહ્યો છે.
રાધનપુરમા ગંદકી અને ઉભરાતી ગટરોને કારણે વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધી રહી છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ વિસ્તાર હવે જોખમી બનતો જાય છે. વરસાદી માહોલ હોય કે સામાન્ય દિવસ, બન્ને સ્થિતિમાં રસ્તા પર ગંદુ પાણી અને કાદવ-કીચડનો માહોલ યથાવત રહેતા નાગરિકો ભારે પરેશાન છે. વેપારીઓનું કહેવું છે કે, આવી અસ્વચ્છતા અને દુર્ગંધને કારણે ગ્રાહકો પણ અસ્વસ્થતા અનુભવે છે, જેના કારણે ધંધા-રોજગાર પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે.લોકોમાં હવે રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને નાગરિકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, “હવે ફક્ત વચનો, આશ્વાસનો અને મુલાકાતો નહીં… કામ જોઈએ. પ્રશ્નોનો કાયમી ઉકેલ જોઈએ. નહીં તો જનતા જવાબ આપશે.”રાધનપુર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે મીરાદરવાજા થી પટણી દરવાજા રોડ પરની આ દુર્દશા તંત્ર માટે શરમજનક પરિસ્થિતિ બની છે. પ્રશ્ન હવે એ નથી કે સમસ્યા છે કે નહીં, પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર હવે ક્યારે જાગશે?
લોકોની નજર હવે તંત્ર પર છે કે, શું આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવશે કે ફરી એકવાર કાગળ પરના વિકાસ અને ખાલી આશ્વાસનોનો જ સહારો અપાશે.રાધનપુરના નાગરિકો હવે સ્પષ્ટ કહી રહ્યા છે કે,શહેરને ભાષણોથી નહીં, કામગીરીથી વિકાસ જોઈએ.અને જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય તો આ પ્રશ્ન આવનારા દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.





