ગોબરી રોડ પરના 15 જેટલા પાકા દબાણો તોડી પડાયા
દબાણો તોડવામાં ભેદભાવ કરાયો હોવાના આક્ષેપો
માલેતુજારોને છાવરી ગરીબોને નિશાન બનાવ્યા હોવાની રાવ
પાલનપુરથી જગાણાને જોડતા રોડની રૂ.સાડા ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે રોડ પહોળા કરવા માટે ગોબરી રોડ પરના પાકા દબાણો આજે તોડી પડાયા હતા. જોકે, દબાણો તોડવામાં તંત્ર દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલનપુરથી જગાણાને જોડતા રોડનું નવીનીકરણ હાથ ધરાયુ છે. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડથી ગોબરી રોડ સુધીનો રોડનો પટ્ટો પહોળો કરવા માટે રોડ પરના દેવીપૂજક સમાજના વીસેક પાકા દબાણો તોડી પડાયા હતા. આ દબાણદારોને નોટીસ આપ્યા બાદ દબાણો દૂર કરાયા હોવાનું માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ પટેલે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે દબાણ દૂર કરવામાં તંત્ર દ્વારા ભેદભાવ કરાયો હોવાના આક્ષેપો વિઠ્ઠલભાઈ પટણી અને ચંપાબેન પટણી સહિતના પીડિતપરિવારો એ કર્યા હતા.


