કોંગ્રેસ-ભાજપ વચ્ચે મુખ્ય ટક્કર,આપ કોના મત કાપશે ?
ચૂંટણીના ફોર્મ ભરવા ઉમેદવારો સાથે સમર્થકોની ભારે ભીડ
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો તેમજ 10 તાલુકા પંચાયતની 240 બેઠકો અને ત્રણ નગરપાલિકાઓ માટે આગામી 26 એપ્રિલે મતદાન યોજાનાર છે. આવતીકાલે શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી દાંતા તાલુકા મથકે આજે ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી.દાંતા તાલુકામાં તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા ચાલી રહી છે. તાલુકા પંચાયત માટે મામલતદાર કચેરી અને જિલ્લા પંચાયત માટે પ્રાંત અધિકારી કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે.
પરંપરાગત રીતે દાંતા તાલુકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, જ્યાં સામાન્ય રીતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર રહેતી આવી છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટી (આપ) એ પણ મેદાનમાં ઉતરીને તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખતા ચૂંટણી ત્રિકોણીય બની છે.આપ પાર્ટીના ઉમેદવાર રેવાભાઈ સુન્દલિયા, જેમણે અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી હતી, તેમણે આ વખતે તાલુકા પંચાયત માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે કોંગ્રેસ પર વિકાસ ન કરવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પ્રજાને રોડ, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળી નથી, જેના કારણે તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે.
બીજી તરફ ભાજપ પણ કોંગ્રેસનો ગઢ તોડવા માટે સક્રિય થયું છે. ભાજપના તાલુકા પ્રમુખ વિરેન્દ્ર બડગુજરે દાવો કર્યો છે કે આ વખતે તમામ બેઠકો પર ભાજપ જીતશે અને તાલુકા પંચાયત ભાજપના કબજામાં આવશે. સાથે જ તેમણે આપ પાર્ટીનો આ ચૂંટણીમાં ખાસ પ્રભાવ નહીં રહે તેવી પણ વાત કરી છે.આ પરિસ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે આપ પાર્ટી કોના મત કાપશે અને તેનો ફાયદો કોને મળશે ? દાંતા તાલુકાની આ ચૂંટણી હવે રસપ્રદ બની છે.





