આરોપીઓને ફાંસીની સજા આપવાની સમાજની પ્રબળ માંગ
રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રણજીતપુરા ગામે સૈન (નાઈ) સમાજની ધોરણ ૮ માં ભણતી માસૂમ દીકરી વસુદરાબેન દેવીલાલ સૈન પર થયેલા પાશવી અત્યાચાર અને નિર્મમ હત્યાના વિરોધમાં આજે ડીસા ખાતે નાઈ સમાજના અગ્રણીઓ અને યુવાનો એકત્ર થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ચકચાર મચાવનારી આ ઘટનાને પગલે ડીસાના નાઈ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગત તા. ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ વસુદરા જ્યારે પરીક્ષા આપવા શાળાએ જઈ રહી હતી, ત્યારે નરાધમોએ તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. આ મામલે ફલોદી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે, પરંતુ હજુ સુધી તમામ આરોપીઓ પકડાયા ન હોવાથી સમાજમાં આક્રોશ છે.
ડીસા ખાતે આપેલા આવેદનપત્રમાં સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે, ફરાર તમામ નરાધમ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ટૂંકા ગાળામાં ન્યાય આપવામાં આવે. માસૂમ દીકરીનો જીવ લેનારા રાક્ષસોને કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થાય તેવું આયોજન કરવામાં આવે.
સમાજમાં ભણવા જતી દીકરીઓ ભયમુક્ત બની શકે તે માટે સરકાર દ્વારા કડક સુરક્ષાના પગલાં લેવામાં આવે. ડીસા સૈન સમાજના અગ્રણીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ કોઈ એક સમાજની દીકરીની વાત નથી, પણ સમગ્ર માનવતા પર કલંક છે. જો સરકાર તાત્કાલિક ધોરણે આ કેસમાં કડક કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં સૈન સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ પ્રસંગે ડીસા શહેર અને તાલુકાના સૈન સમાજના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.


