દર્દીઓને ઘર આંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળશે
યાત્રાધામ અંબાજીમાં સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અંદાજે 40 વર્ષ બાદ બે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવા એક્સ-રે મશીનોની સુવિધા ઉપલબ્ધ બની છે. આ નવી સુવિધાના કારણે અંબાજી તેમજ આસપાસના આદિવાસી વિસ્તારોના લોકોને સારવાર માટે વધુ સારી આરોગ્ય સેવા મળશે. અગાઉ કોઈ ગંભીર ઈજા કે અકસ્માતના કિસ્સામાં દર્દીઓને એક્સ-રે સહિતની જરૂરી તપાસ માટે લગભગ 60 કિલોમીટર દૂર પાલનપુર જવું પડતું હતું. દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી આ મુશ્કેલીને ધ્યાનમાં રાખી અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન દવે તથા અંબાજી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક સમક્ષ નવા મશીનોની માંગણી કરવામાં આવી હતી.
આ માંગણીને અનુસરીને યુજીવીસીએલના સહયોગથી અંદાજે રૂ. 48 લાખના ખર્ચે બે આધુનિક એક્સ-રે મશીનો અંબાજી સિવિલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે. જેના કારણે અંબાજી સહિત આસપાસના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના દર્દીઓને સ્થળ પર જ ઝડપી અને ગુણવત્તાયુક્ત નિદાનની સુવિધા ઉપલબ્ધ બનશે. આજે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે આ બંને મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામજનો, સ્થાનિક આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં હોસ્પિટલમાં વધુ આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉમેરવાના આયોજન હેઠળ નવીન સોનોગ્રાફી મશીન તેમજ સીટી સ્કેનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત સરકારના આ પ્રયાસોથી અંબાજી સિવિલ હોસ્પિટલના આધુનિકીકરણને વધુ વેગ મળશે અને વિસ્તારના હજારો લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે.તેમ ડો. વાય. કે. મકવાણા (સુપ્રિટેન્ડન્સ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંબાજી) એ જણાવ્યું હતું આ પ્રસંગે અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે, ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો , યુ જીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ. પી. ઝાલા તેમજ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





