બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુજી ઉઠશે
શ્રાવણ માસ દરમિયાન શિવજીની વિશેષ પૂજા અર્ચનાના કરવામાં આવતી હોય છે
પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં શિવ પૂજાની શરૂઆત થઈ જશે. શ્રાવણ મહિનામાં શિવપૂજાનો અનન્ય મહિમા હોવાથી શિવાલયોનો હર...હર... મહાદેવના નાદથી ગૂંજશે. શિવલિંગ ઉપર દૂધનો અભિષેક, બિલ્વપત્રો ચઢાવવામાં આવશે. તેમજ ત્રિદલમ્ ત્રિનેત્રમ્ ત્રિજન્મ પાપ સંહારમ્ એકમ્ બિલવમ્ શિવમ્ અર્પણમ્ જેવા મંત્રોચ્ચારોના શિવ મંદિરોમાં ગાન થશે. આ ઉપરાંત શિવભકતો શિવલિંગ ઉપર જલાભિષેક અને દૂધાભિષેકથી પોતાના દેવાધિદેવ મહાદેવજીનાં અર્ચન પૂજન કરશે. અરવલ્લીની ગીરીમાળામાં અને રણનીકાધી એ આવેલા બનાસકાંઠા જિલ્લાના અનેક પ્રાચીન અર્વાચીન શિવાલયો આવેલા છે જેમાં પાલનપુર માં પાતાળેશ્વર મહાદેવ આરાસુરીની ગિરિમાળામાં આવેલા બાલારામ મહાદેવ, બાજોઠીયા મહાદેવ હર ગંગેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ કેદારનાથ મહાદેવ મુક્તેશ્વર મહાદેવ કોટેશ્વર મહાદેવ આ ઉપરાંત વાવ તાલુકામાં કપિલેશ્વર મહાદેવ મૂળેશ્વર મહાદેવ ડીસામાં રસાણા ખાતે આવેલા શિવધામ , રીસાલેશ્વર મહાદેવ સહિત અનેક ગામોમાં પૌરાણિક મંદિરોમાં પણ ભકતોની ભીડ જામશે.
આમ તો પવિત્ર શ્રાવણ મહિનો ધાર્મિક અને સામાજિક પર્વોની ઉજવણીનો મહિનો છે. નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, રક્ષાબંધન જેવા ધાર્મિક તહેવારોને કારણે જનજીવન ધાર્મિક લાગણીમાં રંગાઈ જશે. જયારે રક્ષાબંધન જેવા પરંપરાગત તહેવાર ભાઈ-બહેનના હેતની સરવાણી વહાવશે. જયારે સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય તહેવારને કારણે રહીશોમાં દેશ પ્રેમ પણ છલકાશે. આ વર્ષે શ્રાવણ મહિના દરમ્યાન ચાર સોમવારનો યોગ રહ્યો છે. પહેલો સોમવાર ૧૭ ઓગસ્ટ ના રોજ આવશે. સોમવારના દિવસોમાં શિવાલયોમાં ભોલેનાથના ગુણગાન ગવાશે, શિવ મંદિરો ભકતોથી ઉભરાશે. પ્રાચીન કાળથી જ હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણ મહિનાનો અનેરો મહિમા છે. આ મહિનામાં જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોવાથી કૃષ્ણ ભકતો અને દુંદાળા દેવના ઉપાસકોમાં ધાર્મિક લાગણીઓની સરવાણી વહેશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમે પગપાળા સંઘો સાથે નીકળતા માઈ ભકતો પણ શ્રાવણ મહિનાના અંત પહેલાં જ સજ્જ બનશે. નિષ્કર્ષ રૂપ, આ પવિત્ર માસમાં જન જીવનમાં નવીન ચેતનાનો સંચાર જોવા મળશે. આ પવિત્ર મહિનામાં શિવભકતો ઉપવાસ કરી ભકિતમય બનશે.





