કાદવ-કીચડ અને ગંદા પાણીના ખાબોચિયાથી લોકો-વિદ્યાર્થીઓ પરેશાન, રોગચાળાની ભીતિ વચ્ચે પંચાયતમાં રજૂઆત
કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ઘર વપરાશનું ગંદુ પાણી જાહેર રસ્તાઓ પર છોડવાની સમસ્યા લાંબા સમયથી યથાવત્ રહેતા ગ્રામજનો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર ગંદુ પાણી ભરાઈ રહેતાં કાદવ-કીચડની ગંદકી છવાઈ છે. જેના કારણે રાહદારીઓ, વેપારીઓ તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જાહેર રસ્તાઓ પર સતત ગંદા પાણીનો નિકાલ થવાના કારણે આસપાસ ગંદકી ફેલાઈ રહી છે. ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ ગ્રામજનોમાં વ્યક્ત થઈ રહી છે. ગામમાં આરોગ્યને લગતી ચિંતા વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
આ સમસ્યા અંગે વેપારીઓ દ્વારા અગાઉ પણ ગ્રામ પંચાયત સમક્ષ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં પંચાયત દ્વારા જાહેર રસ્તા પર ઘરવપરાશનું પાણી છોડનાર લોકોને નોટિસો પણ આપવામાં આવી હતી. જોકે, માત્ર નોટિસ આપવાથી વર્ષોથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ આવતો ન હોવાથી પાણીનો જાહેર રસ્તા પર નિકાલ કરનાર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગંભીર સમસ્યાના મુદ્દે ખીમાણા ગામના વેપારીઓએ આજે ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપી હતી. વેપારીઓએ તલાટીને રૂબરૂ રજૂઆત કરી જાહેર રસ્તા પર ગંદા પાણીનો નિકાલ અટકાવી યોગ્ય ડ્રેનેજ અથવા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
હાલ રસ્તા પર અનેક સ્થળે કાદવ-કીચડ અને ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા હોવાથી લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકહિતની માંગ છે. ગામના મુખ્ય માર્ગો સ્વચ્છ અને રોગમુક્ત રહે તે માટે માત્ર નોટિસ નહીં, પરંતુ ગંદા પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્યો છે. હવે વેપારીઓની લેખિત રજૂઆત બાદ પંચાયત તંત્ર આ સમસ્યાના ઉકેલ માટે શું કાર્યવાહી કરે છે ? તે જોવું રહ્યું.





