ઉત્તર ગુજરાતના મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી
ઉત્તર ગુજરાતના મુસાફરો માટે પરિવહન ક્ષેત્રે એક અત્યંત આનંદદાયક અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 'વિકસતું ઉત્તર ગુજરાત'ના સંકલ્પ સાથે હવે ડીસાથી સુરત સુધીની સફર વધુ આરામદાયક અને ઝડપી બનશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે ૨૧ મે, ૨૦૨૬ થી ડીસા-સુરત રૂટ પર અત્યાધુનિક હાઈટેક વોલ્વો બસ સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.
જેમાં ગુરુવારે આ નવીન હાઈટેક સેવાનો પ્રારંભ રાજ્ય કક્ષાના વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને વાહનવ્યવહાર મંત્રી પ્રવિણભાઈ માળીના હસ્તે અને અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય દિનેશભાઇ અનાવાડીયા તેમજ ભાજપ હોદેદારો અને પાલિકા સદશ્યો ઉપસ્થિત રહ્યા હતા.અને ઉત્તર ગુજરાતના વિકાસમાં આ સેવાને એક નવું સીમાચિહ્ન ગણાવ્યું હતું.
આ હાઈટેક વોલ્વો બસ સેવા ડીસાથી સુરત દરરોજ બપોરે ૧૨:૩૦ કલાકે અને સુરતથી ડીસા દરરોજ સવારે ૦૬:૦૦ કલાકે ઉપડશે. મુસાફરોની સુવિધા માટે આ બસ રૂટ પરના મુખ્ય શહેરો અને હાઈવે પોઈન્ટ્સ પર રોકાશે, આ બાબતે ડીસાના વેપારીઓ અને ડાયમંડ સિટી સાથે જોડાણ મજબૂત બનશે. જોકે હીરાબજારના વ્યવસાય સાથે ડીસા અને પાલનપુરથી મોટી સંખ્યામાં લોકો વેપાર-રોજગાર અર્થે સુરત સ્થાયી થયેલા છે. આ હાઈટેક વોલ્વો બસ સેવા શરૂ થવાથી ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત સાથે ઉત્તર ગુજરાતનું જોડાણ વધુ મજબૂત બનશે. એસી વોલ્વો બસના કારણે લાંબી સફરનો થાક લાગશે નહીં અને મુસાફરો પ્રીમિયમ સુવિધા સાથે સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. સ્થાનિક નાગરિકો અને વેપારી મંડળો દ્વારા સરકારના આ લોકાભિમુખ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.





