“મારો સમાજ, શ્રેષ્ઠ સમાજ”ના મંત્ર સાથે એકતા અને સાદગીનો અનોખો સંદેશ
બનાસકાંઠાના ડીસા ખાતે આજે સમાજ ઉત્થાન અને એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. જુનાડીસા સ્થિત સંતશ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે ડીસાવળ રોહિત સમાજ 100 ગામ દ્વારા નવમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોહિત સમાજના કુલ 49 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરી હતી. “મારો સમાજ, શ્રેષ્ઠ સમાજ”ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં 100 ગામના ભાઈ-બહેનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને આનંદ છવાઈ ગયો હતો. મહંતશ્રી શિવનાથજી મહારાજના આશીર્વચન, અગ્રણીઓની ઉપસ્થિતિથી વધ્યો કાર્યક્રમનો ગૌરવ
આ કાર્યક્રમ પંચપટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. રાજસ્થાન કુષ્માથી પધારેલા શ્રી શ્રી મહંતશ્રી શિવનાથજી મહારાજે ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજમાં એકતા તથા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડીવાયએસપી દિનેશભાઈ પુનડિયા, એએસઆઈ જયંતિભાઈ છત્રાલીયા, જુના ડીસાના સરપંચ અમૃતભાઈ પુનડીયા, અશ્વિનભાઈ પરમાર તેમજ ડી.આર.એસ. પ્રમુખ વિક્રમભાઈ સોલંકી સહિત અનેક અગ્રણીઓ અને દાતાઓ હાજર રહ્યા હતા. ભોજનના દાતા તરીકે દશરથભાઈ કાળુભાઈ ખટાણા (ડિકે દામા) દ્વારા તમામ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
એક મહિના સુધીની મહેનત રંગ લાવી, સમાજને આપ્યો એકતા અને શિક્ષણનો સંકલ્પ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઈ પાલડીના માર્ગદર્શન હેઠળ ડી.આર.એસ.કારોબારીના મિત્રો દિનેશભાઈ, હિતેશભાઈ, પારસભાઈ, નવીનભાઈ, તલાભાઈ, રાજુભાઈ, જયેશભાઈ, કાંતિભાઈ સહિત સમગ્ર ટીમે છેલ્લા એક મહિના સુધી સતત મહેનત કરી હતી. તેમની જહેમતથી કાર્યક્રમ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. અંતે ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, વડીલો અને યુવાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવ દ્વારા સમાજે એકતા, સાદગી અને શૈક્ષણિક વિકાસનો સશક્ત સંદેશ આપ્યો છે.





