રોડના આઠ માર્ગીય નવીનીકરણ સાથે બ્રિજના કામથી ઉલટાનું ટ્રાફીક સમસ્યા વણસી
બનાસકાંઠા જિલ્લાના વેપારી કેન્દ્ર અને તાલુકા મથક ડીસાને પાટણ જિલ્લા તેમજ સૌરાષ્ટ્ર સાથે જોડતા એકમાત્ર મહત્વના નેશનલ હાઇવે પર આમ પ્રજા વર્ષોથી ટ્રાફિકજામની ગંભીર સમસ્યા ભોગવી રહી હતી. ખાસ કરીને ભોપાનગર રેલવે ફાટક પર એક સાથે બે બે માલગાડીઓની અવરજવરને લઈ લાંબા સમય સુધી વાહનોની લાઇનો લાગતી હોવાથી લોકોમાં ભારે તકલીફ સર્જાતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે આખરે ઓવરબ્રિજને મંજૂરી મળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પરંતુ હાલ રોડ આઠ માર્ગીય અને ઓવરબ્રિજના કામની શરૂઆત સાથે જ જનતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ફાટક પાસે બનાવવામાં આવેલ ડાયવર્ઝન માર્ગ સંપૂર્ણ રીતે બિનઆયોજિત અને ખરાબ હાલતમાં છે. રસ્તા પર ડામરનો અભાવ, અસમતલ સપાટી, કપચી અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રોજિંદા મુસાફરો માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમભર્યું બની ગયું છે, અને નાના-મોટા અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
લોકોનો આક્ષેપ છે કે વર્ષો સુધી ફાટક પર સમય બગાડ્યા બાદ હવે ઓવરબ્રિજની આશા જાગી હતી, પરંતુ આયોજનના અભાવે આ વિકાસ કાર્ય જ પ્રજાની સહનશક્તિની કસોટી બની ગયું છે. “કામ ચાલી રહ્યું છે” જેવા જવાબો વચ્ચે લોકોનો સવાલ છે કે શું આવી રીતે વિકાસ કરવો યોગ્ય છે ? મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પ્રોજેક્ટ જનતાના ટેક્સના પૈસાથી બની રહ્યો છે. તેથી તંત્રની ફરજ છે કે કામ દરમિયાન જનતાને સુવિધા મળે અને જોખમ ન વધે. હાલની સ્થિતિમાં વિકાસ કરતાં વધુ પ્રજાની હાડમારી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
અકસ્માતનું જોખમ વધ્યું
ડીસા-પાટણ અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વના હાઇવે પર ભોપાનગર ફાટક પાસે ઓવરબ્રિજનું કામ શરૂ થયું છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે ડાયવર્ઝન માર્ગ ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે તકલીફ પડી રહી છે. ધૂળ, ખાડા અને અસમતલ રસ્તાને કારણે અકસ્માતોના જોખમમાં વધારો થયો છે. એટલું જ નહીં, પાણી પણ છાંટવામાં ન આવતા લોકોને ધૂળ ફાકવાનો વારો આવ્યો છે.લોકોમાં હવે એક જ સવાલ ઉઠાવી રહી છે કે આ વિકાસ અમારી સુવિધા માટે છે કે અમારી સહનશક્તિની પરીક્ષા ?





