ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ અને સાબરકાંઠા જિલ્લા મંડળના આદેશ અનુસાર વિજયનગર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મહેસૂલી સહિતની જુદી જુદી ૧૪ જેટલી કામગીરીઓથી મુક્ત રાખવાની માંગ સાથેનનું એક આવેદનપત્ર મામલતદાર કચેરીએ જઈને આપવામાં આવ્યું હતું. જેમાં કરવાના આવેલ રજૂઆત મુજબ વિજયનગર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ મહેસૂલ વિભાગની ૧ થી ૧૪ (તથા અન્ય) કામગીરી તેમજ પંચાયત સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.
શું છે તલાટી મંડળની મુખ્ય માંગણીઓ ?
તલાટી મંડળના પ્રમુખ અર્જુનકુમાર ડી. જોષીયારા, ઉપપ્રમુખ પંકજભાઈ પટેલીયા અને મહામંત્રી ભારતીબેન પટેલીયાની આગેવાની હેઠળ રજૂ કરવામાં આવેલા આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, અગાઉ થયેલા સમાધાન મુજબ હજુ સુધી મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીના કેડર (જોબચાર્ટ) અલગ કરવામાં આવ્યા નથી. મહામંડળની મુખ્ય માંગણીઓ આ મુજબ છે. સમગ્ર મહેસૂલ વિભાગનું કામ માત્ર મહેસૂલી તલાટીઓને જ સોંપવામાં આવે,પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું કામ જ તલાટી કમ મંત્રીઓને સોંપાય, તલાટીઓ પર લાદવામાં આવતી અન્ય વધારાના વિભાગોની કામગીરી બંધ કરવામાં આવે વગરે માંગણીઓનો સમાવેશ થાય છે
ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરીનો બહિષ્કાર
રાજ્ય મંડળના તારીખ ૦૨/૦૧/૨૦૨૬ અને જિલ્લા મંડળના તા. ૦૩/૦૧/૨૦૨૬ના આદેશોને સમર્થન આપતા વિજયનગર તાલુકા મંડળે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપત્તિ વ્યવસ્થાપન) સિવાયની તમામ મહેસૂલી અને અન્ય વિભાગો દ્વારા સોંપાતી કામગીરીથી અળગા રહેશે. આ આવેદનપત્ર વિજયનગર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના . મંડળ દ્વારા આ અંગેના જરૂરી બિડાણો અને આદેશોની નકલ પણ મામલતદાર કચેરીને સુપ્રત કરવામાં આવી છે.





