આગામી ૨૩ મી ઓગસ્ટના રોજ મતદાન યોજાશે
ભાજપ સમર્પિત બે પેનલો સામસામે આવતા ચૂંટણીના સમીકરણો બદલાય તેવી શક્યતા
ઈડર નાગરિક સહકારી બેંકની ચૂંટણી આગામી ૨૩ મી ઓગસ્ટના રોજ યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં ૨૦ ઉમેદવારો મેદાનમાં છે. અને આ ૨૦ ઉમેદવારોમાં ભાજપ સમર્પિત બે અલગ અલગ પેનલો ઊભી થઈ છે જેમાં એક વિકાસ પેનલના ૧૩ ઉમેદવારો મેદાનમાં છે અને બીજી સમરસ પેનલના ૬ ઉમેદવારો પોતાના નશીબ અજમાવી રહ્યા છે. જ્યારે ૧ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે આમ કુલ ૨૦ જેટલા ઉમેદવારો સીધા ચૂંટણી જંગમાં ઉતર્યા છે જેને લઈને સમરસ પેનલના ઉમેદવારોએ બુધવારના રોજ ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામે તેમણે સંતોના હાથે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યો હતો.
સમરસ પેનલના ૬ ઉમેદવારોની જો વાત કરીએ તો (૧)કાંતિલાલ તારાચંદ સોની,(૨)કૃષ્ણકાંત ગિરધારીલાલ સોની,(૩)ઝાકીર હુસૈન અબ્દુલ સત્તાર મેમણ,(૪)શનિસિંહ આશિષસિંહ ગુર્જર,(૫)વીણાબેન ત્રિલોકચંદ્ર ભોજક,(૬)કિરણભાઈ હરિભાઈ પરમાર નો સમાવેશ થાય છે.
સમરસ પેનલના કાર્યાલયના ઉદ્ઘાટનમાં પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ પી.સી.પટેલ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ જયસિંહ તંવર,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભંવરલાલ સોની અને બીજા પૂર્વ પ્રમુખ એવા ગિરધારીલાલ સોની,એચ.એમ.પરમાર સામાજિક અગ્રણી,ભાજપના પાલિકા સદસ્ય જયંતીભાઈ આદિવાસી,કોર્પોરેટર દિલીપભાઈ ભરવાડ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં જુદીજુદી સમાજોના આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ભાજપ સમર્પિત બે પેનલો વચ્ચે સીધો જંગ જોવા મળશે અને આ જંગમાં બંને પેનલોમાં રહેલા રાજકીય મોટા માથાઓ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની પેનલોને જીતાડવા પૂરેપૂરી તાકાત લગાવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જોકે આ ચૂંટણીમાં ભાજપ સમર્પિત બે પેનલો સામસામે આવતા આગામી દિવસોમાં ચૂંટણીના સમીકરણો બદલાય તો નવાઈ નહીં.





