જિલ્લા સેવા સદન સહિતની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ એકસૂરે રાષ્ટ્રીય ગીત ગાઈ દેશપ્રેમ વ્યક્ત કર્યો
આઝાદીના અમૃત મહોત્સવ અને આગામી સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રીશ્રીના આહ્વાન પર યોજાઈ રહેલા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રપ્રેમનો નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જાગૃતિ ઝુંબેશના સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'નું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં 'વંદે માતરમ' સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, પોલીસ અધિક્ષક કચેરી તેમજ તમામ રેવન્યુ અને વિભાગીય કચેરીઓ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ એકસુરે "વંદે માતરમ"નું ગાન કરી સમગ્ર પરિસરને રાષ્ટ્રભક્તિના આદ્યાત્મિક અને સકારાત્મક સ્પંદનોથી ગુંજવી મૂક્યું હતું.
'હર ઘર તિરંગા' માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી શ્રદ્ધા, સમર્પણ અને એકતા પ્રદર્શિત કરવાનું મોટું માધ્યમ છે. સરકારી કચેરીઓમાં સમૂહ ગીતના આ આયોજનનો મુખ્ય હેતુ પ્રજાજનોની સેવા માટે કાર્યરત તંત્રમાં રાષ્ટ્રીયતાની ભાવનાને વધુ સુદૃઢ કરવાનો અને નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાયા માટે પ્રેરણા આપવાનો છે.'વંદે માતરમ' સમૂહ ગાન બાદ "ભારત માતા કી જય" અને "હર ઘર તિરંગા"ના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ કચેરીમાં આવેલા અરજદારો અને સ્થાનિક નાગરિકોએ પણ આ ઉત્સાહવર્ધક વાતાવરણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને પોતાના ઘર, દુકાન અને કાર્યાલયો પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી 'હર ઘર તિરંગા' અભિયાનમાં સક્રિયપણે જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.





