૧૭ થી ૩૧ મે દરમિયાન ‘સ્વ-ગણતરી’ પોર્ટલ પર નાગરિકો પોતે જ વિગતો નોંધી શકશે
સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી 'જનગણના ૨૦૨૭' માં સક્રિયપણે જોડાવવા માટે જિલ્લા પોલીસ વડાની ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
ગુજરાત રાજ્યમાં જનગણના ૨૦૨૭ અંતર્ગત 'સ્વ-ગણતરી' પ્રક્રિયાની શરૂઆત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા આગામી ૧૭ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન દિવસના ૨૪ કલાકમાં ગમે ત્યારે, રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સ્વ-ગણતરી કરી શકશે.
જિલ્લા પોલીસ વડાએ ઉમેર્યું હતું કે, "મેં પોતે પણ મારી સ્વ-ગણતરી જાતે જ ઓનલાઈન પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા અત્યંત સરળ છે." તેમ છતાં, જો જિલ્લાના કોઈ પણ નાગરિકને આ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી જણાય, તો સરકારના સત્તાવાર ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ પર સીધો સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.





