મકાનમાં પડેલી તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી
પાટણના સાંતલપુર તાલુકાના ઝેકડા ગામે એક બંધ મકાન માંથી રૂ. 1,43,700થી વધુની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના, ધાર્મિક મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઝેકડા ગામના દેવા મગન સોલંકી (ઉં.વ.50) અને તેમની પત્ની ગત 18 ઓગસ્ટ, 2026ના રોજ સવારે આઠ વાગ્યે મજૂરી કામ અર્થે ખેતરે ગયા હતા. તેઓ મકાનને તાળું મારીને ગયા હતા. દંપતી સવારે દસ વાગ્યે ઘરે પરત ફરતા ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાં પ્રવેશ કરતા અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરી ખુલ્લીજણાઈ હતી.
તિજોરીની તપાસ કરતા તેમાંથી આશરે 5 ગ્રામની સોનાની એક બુટી (કિંમત રૂ. 27,300), આશરે 250 ગ્રામ વજનની ચાંદીની બે ઝાંઝરી (કિંમત રૂ. 27,550), 20 ગ્રામની ચાંદીની ગણપતિજી તથા લક્ષ્મીજીની મૂર્તિઓ (કિંમત રૂ. 3,000), 20 ગ્રામના ચાંદીના બે સિક્કા (કિંમત રૂ. 4,000) તેમજ રોકડ રકમ રૂ. 10,000ની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.આ ઘટના બાદ પરિવારે આસપાસ અને સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી, પરંતુ ચોરાયેલ મુદ્દામાલનો કોઈ પત્તો ન મળતા આખરે વારાહી પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





