સ્થળ તપાસમાં માર્ક વગરની નબળી અને ડેમેજ પાઇપો મળી
સુઈગામ તાલુકાના દુધવા ગામ નજીક આવેલી દુધવા માયનોર- 2 કેનાલના નવીનીકરણના કામમાં ગેરરીતિ થયાની બુમરાડ મચી છે. જાગૃત ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ નર્મદા નિગમના અધિકારીઓએ ખેડૂતોને સાથે રાખીને સ્થળ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનની કામગીરીમાં માર્ક વગરની નબળી ગુણવત્તાની તેમજ ક્ષતિગ્રસ્ત (ડેમેજ) પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે જવાબદાર એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે ભવિષ્યમાં સિંચાઈ વ્યવસ્થાને નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે.સ્થળ પર તપાસ બાદ નર્મદા નિગમના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને ટેન્ડર મુજબ ગુણવત્તાયુક્ત પાઇપો નાખવા તેમજ કામ ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી.ખેડૂતોએ માંગ કરી છે કે કેનાલનું કામ ગુણવત્તાયુક્ત સામગ્રીથી પારદર્શક રીતે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે.





