2025 ના વર્ષમાં વાવ તાલુકામાં આવેલા અતિભારે વરસાદને લઈને ગામમાં જે પાણીનો ભરાવો થયો હતો. એનો તો હજુ નિકાલ થયો નથી. 2026 ના ચોમાસામાં પાણી ગામમાં ઘુસી જતાં ગામમાં 1 ફૂટ ઊંડા પાણી ભરાઈ જતાં ગામ માં કાદવ કીચડ અને ગંદકીનું પ્રમાણ વધી જતાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને ગતરોજ મોરિખા સરપંચ ખુમાભાઈ દેસાઈ નિવૃત તલાટી ઈશ્વરભાઈ રાઠોડ પૂર્વ સરપંચ ગગાભાઈ રાઠોડ સહિત ગ્રામજનો હાજર રહી વાવ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરિખા ગામ માં પમ્પીગ સ્ટેશન બનાવી વરસાદી પાણીનો યુદ્ધના ધોરણે નિકાલ કરવો જરૂરી છે. દર ચોમાસે મોરિખા ગામમાં સર્જાતી પુરની પરિસ્થિતિનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી પ્રચંડ જન માંગ છે.
તાજેતરમાં મોરિખાની બાજુમાં નજીવા અંતરે આવેલા વાવ તાલુકાના લાલપુરા ગામે ચાંદીપરા વાયરસ આવતાં એક 9 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. જો મોરિખા ગામે સતત વરસાદી પાણીના ભરાવાને લઈ ગંદકી મચ્છરનો ઉપદ્રવ થઈ રોગચાળાનો ભરડો લીધો તો મોરિખા ગામમાં પણ ચાંદીપરા વાયરસની ભીતિ સેવાઈ રહી છે. તે પૂર્વ તંત્ર સાબડું બની ગામ માંથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરાવી ગામને સ્વચ્છ સુંદર અને હરીયાળુ બનાવે તેવી લોકમાંગ છે.





