આગેવાનો અને યુવાનો દ્વારા મામલતદારને ઉગ્ર રજૂઆતો
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજે જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે મામલતદારને રજૂઆત કરી છે. વર્ષ 2018 અને વર્ષ 2020 માં બહાર પાડવામાં આવેલા સરકારી પરિપત્રોને કારણે આદિવાસી પરિવારોને દાખલા મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.સમાજના આગેવાનોએ જણાવ્યું કે, મોટાભાગના આદિવાસી પરિવારો અભણ હોવાથી તેમની પાસે ઘણા જૂના પુરાવા ઉપલબ્ધ નથી. આના કારણે તેમને જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં અવરોધ આવી રહ્યો છે. સમાજે માંગ કરી છે કે, શાળા પ્રવેશ રજિસ્ટર, 7/12ના ઉતારા, ગ્રામ પંચાયતના દાખલા અને જૂના સરકારી રેકોર્ડના આધારે જાતિના દાખલા આપવામાં આવે.
જાતિના દાખલા ન મળવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં, સરકારી યોજનાઓના લાભ મેળવવામાં, નોકરીઓ મેળવવામાં તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.આ રજૂઆત દરમિયાન, સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, મામલતદાર કચેરી અમીરગઢ ખાતે રજૂઆત કરવા જઈ રહેલા કેટલાક આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ અથવા અટકાયત કરવામાં આવી હતી.
સુરેશ પરમારે જણાવ્યું કે, આજ રોજ અમીરગઢ ખાતે જાતિના દાખલાઓને લઈને મામલતદારના માધ્યમથી અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદન પત્ર આપવામાં માટે આવ્યા હતા. ખરેખર અહિયાં ટ્રાયબલ બેલ્ટની અંદર જોવા જઈએ તો અમીરગઢ તાલુકાની અંદર જાતિના દાખલા નથી મળતા. એટલા માટે અત્યારે ઓનલાઇન સબમીટ કરવાના થતા હોય છે, જેથી કરીને બાળકો ભણી નથી શકતા. અમીરગઢ તાલુકામાં અમારા લગભગ 3000 થી વધારે ડ્રોપઆઉટ થઈ ગયા છે. છોકરાઓ એડમિશન નથી મેળવી શક્યા.





