નજીવા અંતર છતાં લોકોને થરાદથી 70 કી. મી. નો ફોગટનો ફેરો
આંતર રાજ્ય સરહદી સીમા ધરાવતા ધરણીધર તાલુકાના દૈયપ ગામથી રાજસ્થાનની સરહદી સીમાનું અંતર માત્ર 3 કિ. મી. છે.જો કે આ ત્રણ કિ. મી. નો કાચો રોડ હોઈ ચોમાસામાં પાણીનો ભરાવો થઈ જાય છે.આ કાચા માર્ગ પર દૈયપ વિસ્તારના 100 થી વધુ પરિવારો ખેતરમાં વસવાટ કરી રહ્યા છે.ચોમાસામાં પાણીના ભરાવાને લીધે શાળાએ જતા 50 થી વધુ ભૂલકાઓ શાળાએ જઇ શકતા નથી, ડેરીમાં દૂધ ભરાવા પશુપાલકો પણ ગામમાં આવી શકતા નથી ચોમાસામાં કોઈ મહિલાને પ્રસુતિ વખતે સારવાર માટે હોસ્પિટલ જવુ હોય તો 108 એમ્બ્યુલન્સ વાન પણ જઈ શકતી નથી.
આ સરહદી ગામના લોકોનો રાજસ્થાનમાં સબંધ હોઈ સામાજિક પ્રસંગે વધુ જવાનું થાય છે પણ આ કાચા માર્ગથી માત્ર સાવ નજીક થતું અંતર થરાદ ફરી 70 કિ. મી નું અંતર કાપી જવું પડે છે.આ કાચો માર્ગ જો પાકો ડામર રોડ બની જાય તો ગુજરાત અને રાજસ્થાનને જોડતી સીમાનું અંતર સાવ નજીક બની શકે છે.આ કાચા માર્ગથી રાજસ્થાનના ભાડકી, શરવાણા, જોરાદર,ભોયાત્રા ,ધેગપુરા જેવા ગામોનું અંતર સાવ નજીક હોઈ માત્ર 10 મિનિટમાં પહોંચી શકાય છે. આ મુદ્દે દૈયપ ગામના જાગૃત નાગરિક એવા ભરત ચૌધરીએ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર ને પત્ર લખી આ કાચા માર્ગને ડામર રોડ બનાવવા માંગ કરી છે. જો કે માવસરીથી બાખાસરને જોડતો 37 કી. મી. નો રોડ પાકો ડામર રોડ બની શકતો હોય તો આ રોડ કેમ નહિ ? જેવા લોકોમાં સવાલો ચર્ચાસ્પદ બની ચુક્યા છે.





