બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ બનેલા વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્યારે વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાંથી વિભાજન થઈ બનેલ ધરણીધર તાલુકામાં અને વાવ તાલુકામાં મળી જિલ્લા પંચાયતની સરખી ત્રણ-ત્રણ બેઠકો અને તાલુકા પંચાયતની પણ સરખી સોળ-સોળ બેઠકોમાં ચૂંટણી યોજાઈ રહી છે. બને તાલુકામાં કોગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
વાવ તાલુકામાંથી 75 મતદાન મથકોમાંથી 37 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે ધરણીધર તાલુકામાં 73 મતદાન મથકોમાંથી 27 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. વધુમાં વાવ તાલુકામાં 66915 મતદારો તેમજ ધરણીધર તાલુકામાં 65960 મતદારો નો સમાવેશ કરાયો છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વાવ ધરણીધર તાલુકામાં કુલ મળી અંદાજે એક હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં જવાબદાર તંત્રએ સજ્જ બની આખરી ઓપ આપી દીધો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર પણ સજ્જ બની ચૂક્યું છે. ચુસ્ત અને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ચુક્યો છે.





