રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા11 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરના ગઢ પંથકમા તસ્કરોનો તરખાટ; રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો સોનાના દાગીના ઉઠાવી ફરાર

પાલનપુરના ગઢ પંથકમા તસ્કરોનો તરખાટ; રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો સોનાના દાગીના ઉઠાવી ફરાર
અન્ય એક મકાનમાં પણ ચોરીનો પ્રયાસ થતા બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી; પાલનપુરના ગઢ પંથકમા છેલ્લા ત્રણ દિવસથી તસ્કરો સક્રિય બન્યા હોય તેમ ખસા ગામે ધોળે દિવસે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરીની ઘટના બાદ ટાકરવાડા ગામે રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ તિજોરી તોડીને તેમાં રહેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી 75 હજારની મત્તાની ચોરીને અંજામ આપી પલાયન થઇ ગયા હતા. પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં ત્રણ દિવસમાં બે ઘરફોડ ચોરીના બનાવ બનતા લોકોમાં પોતાના જાન માલના રક્ષણને લઇ ફફડાટ ફેલાયો છે. જેમાં ગત મંગળવારના રોજ તસ્કરોએ ખસા ગામે શિવાજી ઠાકોરના બંધ મકાનનું તાળું તોડી ધોળે દહાડે 64.500 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બાદ બુધવારે ટાકરવાડા ગામે રહેતા ભાઇચંદભાઇ કરશનભાઇ પ્રજાપતિનો પરિવાર રાત્રે નીંદર માણી રહ્યો હતો. દરમ્યાન તેમના રસોડા પાછળના ભાગના દરવાજે ઘૂસી અજાણ્યા તસ્કરો મકાનમાં પ્રવેશ કરી માલ સામાન વેર વિખેર કરી તિજોરીનું તાળું તોડી ડ્રોઅરમાં રહેલા 69 હજારના સોના ચાંદીના દાગીના તેમજ છ હજાર રોકડ રકમ મળી કુલ રૂ.75 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. તેમજ બાજુમાં રણછોડભાઇ કરશનભાઇ પ્રજાપતિના મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.પરંતુ કઇ હાથ લાગ્યું ન હતું. આ ચોરીના બનાવ અંગે પરિવારને વહેલી સવારે જાણ થતા ઘટના અંગે ગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી આવી બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે ગઢ પંથકમા ત્રણ દિવસમાં બે ઘરફોડ ચોરીના બનાવથી લોકોમાં તસ્કરોનો ભય ફેલાયો હોઇ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર