86 ટીમો ઘરે-ઘરે સઘન સર્વે કરી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો સામે જન જાગૃતિ
ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે ડીસા અને ભીલડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય સોલંકી અને ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈ સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વે દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ લોકોને કોલેરા, ટાઇફોઇડ, ઝાડા-ઉલટી, કમળો, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ચોમાસા જન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે માહિતી આપી હતી. રોગચાળો ફેલાયા બાદ સારવાર કરવાના બદલે અગાઉથી જ જરૂરી તકેદારી રાખવામાં આવે તે હેતુથી ‘પાણી પહેલા પાળ બાંધવાના’ અભિગમ સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ડીસા શહેર અને ભીલડી વિસ્તારમાં દર મંગળવારે અંદાજે 86 ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવે છે. આ દરમિયાન નગરપાલિકા તથા ભીલડી ગ્રામ પંચાયત સંચાલિત પીવાના પાણીના બોરમાં ક્લોરીનનું પ્રમાણ પણ ચકાસવામાં આવ્યું હતું.
સર્વે દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગંદકી, પાણીની પાઇપલાઇનમાં લીકેજ તેમજ પીવાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ નહિવત હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે સંબંધિત નગરપાલિકા અને ગ્રામ પંચાયતને લેખિતમાં જાણ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ કામગીરીમાં અર્બન હેલ્થ સેન્ટરની ટીમો ઉપરાંત ડીસા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના એમ.પી.એચ.એસ. અને એમ.પી.એચ.ડબલ્યુ આરોગ્ય કર્મચારીઓ પણ સક્રિય રીતે જોડાયા હતા. ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ પૂર્વ તકેદારીભરી કામગીરીથી લોકોને રાહત મળી રહી છે અને આરોગ્ય વિભાગ સતત સતર્ક રહી કામગીરી કરી રહ્યું છે.





