અંબાજીમાં પ્લાસ્ટિક પર તંત્રનો 'ગ્રીનડાઉન' પ્રહાર: ૧૨૫ કિલોથી વધુ જથ્થો જપ્ત
ભાદરવી પૂનમના મેળાને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો સંકલ્પ : વેપારીઓ અને યાત્રિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ
પાલનપુર : શક્તિપીઠ અંબાજીને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. આગામી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત વાતાવરણ જળવાઈ રહે તે માટે અત્યારથી જ તંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.59.jpg173.88 KBદેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીની સૂચનાના પગલે ટેમ્પલ ઇન્સ્પેક્ટર સહિત GISFના જવાનોની વિવિધ ટીમોએ અંબાજીની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિકની થેલીઓ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં 125 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર વેપારીઓ સામે જ નહીં, મંદિર પરિસરમાં પ્લાસ્ટિકની થેલીઓ સાથે આવતા યાત્રિકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે. યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ ખાલી કરાવી તેનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અંબાજી શહેર તેમજ મંદિર પરિસરને સ્વચ્છ રાખવા માટે યાત્રિકોનો સહયોગ મેળવવા તંત્ર દ્વારા જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે.58.jpg248.75 KBઆગામી ભાદરવી પૂનમનો મેળો પ્લાસ્ટિકમુક્ત થીમ સાથે યોજાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા પ્લાસ્ટિકના યોગ્ય નિકાલની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ અંબાજીમાં પ્લાસ્ટિકના ઉપયોગ અને સંગ્રહ સામે આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રાખવામાં આવશે. તંત્ર દ્વારા વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કે સંગ્રહ ન કરવા તેમજ યાત્રિકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને અંબાજીને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.