પાટણ જિલ્લાના સાંતલપુર નજીક નેશનલ હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિધાડા ગામના પાટિયા પાસે રોડ કન્સ્ટ્રક્શનના કારણે બંધ કરાયેલી વન-વે સાઇડ પર ઉભેલા ટેન્કરને પૂરઝડપે આવેલા ડમ્પરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાંતલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક ચાલકની ઓળખ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના વિક્રમપુર તાહરપુર ગામના રહેવાસી 40 વર્ષીય અમરીશકુમાર ભગવાનદાસ યાદવ તરીકે થઈ છે. તેઓ નેશનલ હાઇવે-27 પરથી પસાર થઈ રહ્યા હતા. સિધાડા ગામ નજીક રોડનું કામ ચાલુ હોવાથી સાંતલપુર તરફનો રસ્તો બેરીકેટ મૂકીને વન-વે કરાયો હતો. અમરીશકુમારે પોતાનું ટેન્કર હાઇવેની બંધ સાઇડ પર ઉભું રાખી નીચે બેસીને જમી રહ્યા હતા.તે સમયે રાધનપુર તરફથી આવી રહેલા ડમ્પરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી રોડ પર મૂકેલા બેરીકેટ તોડી નાખ્યા હતા. ડમ્પરે ટેન્કરને ડ્રાઇવર સાઇડના ભાગે જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં અમરીશ યાદવને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી.આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ વિકાસ રામવતાર યાદવ (ઉંમર 26), જેઓ રાજસ્થાનના ઉદયપુરમાં ગ્રેડર મશીનના ડ્રાઇવર છે, તેમને પિતા દ્વારા ફોન પર અકસ્માતની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક સાંતલપુર સરકારી દવાખાને પહોંચ્યા હતા અને ત્યાર બાદ ઘટના સ્થળે તપાસ કરીને સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.





