સ્થાનિક નેતાઓ પર નબળા ઉમેદવાર પસંદગીનો આક્ષેપ કરાયો
પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતાઓની દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે સાથેની મુલાકાત બાદ આ સ્થિતિ સર્જાઈ છે. પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર અને અન્ય આગેવાનોએ શનિવારે પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો બચાવ કર્યો હતો અને સ્થાનિક નેતાગીરી સામે ગંભીર આરોપો લગાવ્યા હતા.ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ,પૂર્વધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ગેનીબેન ઠાકોર સહિત ઉત્તર ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતના વિરોધમાં બાબુજી ઠાકોર અને અન્ય આગેવાનોએ પત્રકાર પરિષદ યોજતા પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.
ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ,પૂર્વધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ગેનીબેન ઠાકોર સહિત ઉત્તર ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હતી. દિલ્હી ગયેલા નેતાઓ પર આકરા પ્રહારો કરતાં બાબુજી ઠાકોરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણી અંગે જણાવ્યું કે, તેની જવાબદારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ,વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને સોંપાઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ નેતાઓએ અંગત સ્વાર્થ અને ભાજપને જીતાડવાના આશયથી નબળા ઉમેદવારો પસંદ કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સંગઠન મજબૂત કરવાને બદલે પોતાનો સમય 'ભુવાપણા'માં વિતાવ્યો, જેના કારણે ચૂંટણીમાં ઇચ્છિત પરિણામો મળ્યા નહીં.
ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાનો દોષ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર ઢોળવો વ્યાજબી નથી. ઠાકોરે ઉદાહરણ આપતા કહ્યું કે, પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ઠાકોર સમાજના 80,000 મત મળ્યા હતા,પરંતુ લોકસભા ચૂંટણીમાં ધારાસભ્ય ડો. કિરીટ પટેલ ઠાકોર ઉમેદવારને 20,000 મત પણ અપાવી શક્યા ન હતા.આ સંજોગોમાં, સ્થાનિક નેતાગીરી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પ્રદેશ નેતાગીરી સામે વિરોધ કરી રહી હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.આગામી દિવસોમાં અમિત ચાવડાના સમર્થનમાં પાટણ અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો દિલ્હી જશે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સમક્ષ સમગ્ર પરિસ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરશે તેવું તેઓએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.





