વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડા પોતે બાઈક પર સવાર થઈ યાત્રામાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં 25 વર્ષની સેવા અને સમર્પણની ઉજવણીના ભાગરૂપે તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં “સેવા સંકલ્પ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સેવાકીય, જનકલ્યાણલક્ષી અને લોકભાગીદારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં મુડેટી ખાતે વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડા બંને મંત્રીઓ પોતે બાઈક પર સવાર થઈ સેવા યાત્રામાં જોડાયા હતા.
આ અભિયાન અંતર્ગત વિવિધ નદીઓના પવિત્ર જળને એકત્રિત કરી ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાંથી પસાર થતી આ સેવા યાત્રા વડનગર પહોંચશે. શામળાજીથી પ્રસ્થાન થયેલી બાઈક સેવા યાત્રાનું સાબરકાંઠા જિલ્લાના બડોલી, સપાવાડા, ઇડર, વડાલી સહિત વિવિધ ગામોમાં ઠેર-ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સતત લોકહિત અને જનકલ્યાણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી અને કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિકાસકાર્યોને સતત વેગ આપવામાં આવી રહ્યો છે.
વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, આજથી ગુજરાતના ચારેય ખૂણેથી બાઈક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતની યાત્રાનો પ્રારંભ ભગવાન શામળિયાના પવિત્ર પરિસરમાંથી થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરની ઉજવણી લોકોની સેવા કરીને અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીને કરવાની પ્રેરણા આપવામાં આવી છે. આ જ ભાવનાને સાકાર કરવા “સેવા સંકલ્પ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા, વિજયભાઈ પંડ્યા, ગણપતસિંહ ઝાલા સહિત વિવિધ પદાધિકારીઓ, આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





