પાટણના રહેવાસી અને અશ્વ ફાર્મના માલિક કિંજલ પટેલે રાજસ્થાનના આબુ રોડની તળેટીમાં આવેલી એક ખાનગી હોટલમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
શનિવારે બનેલી આ ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહને કબજામાં લીધો હતો. પોલીસે ઘટના અંગે મૃતકના પરિવારને જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કિંજલ પટેલ ઊંચી નસ્લના ઘોડા રાખવાના ભારે શોખીન હતા. અને તેઓ અવાર નવાર વિવિધ રાજ્યોમાંથી કિંમતી ઘોડાઓની ખરીદી કરતા હતા. શુકવારે 26 જૂને ઘોડા ખરીદવા પંજાબ જવા નીકળેલા યુવક 27 જૂને અચાનક આવા પગલાથી તેમનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના મોટાભાઈ મિતુલ પટેલ તાત્કાલિક આબુરોડ પહોંચ્યા હતા. અને સદર પોલીસ સ્ટેશનમાં આ અંગેનો રિપોર્ટ નોંધાવ્યો હતો.
મિતુલ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, કિંજલ શુક્રવારે ઘોડા ખરીદવા માટે પંજાબ જવા નીકળ્યો હતો. તે પાટણથી ટેક્સી ભાડે કરીને આબુરોડ પહોંચ્યો હતો. તેણે પરિવાર સાથે ફોન પર વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેણે આબુ રોડથી પંજાબ જવા માટે ટ્રેનનું રિઝર્વેશન કરાવી લીધું છે અને તે ટૂંક સમયમાં પંજાબ જવા રવાના થશે. જોકે, તે પંજાબ પહોંચે તે પહેલા જ કરુણાંતિકા સર્જાઈ હતી. સવારે હોટલમાંથી ચેકઆઉટ કરવાનો સમય થઈ ગયો હોવા છતાં કિંજલ પટેલ રૂમની બહાર આવ્યો ન હતો. આથી હોટલ સ્ટાફ તપાસ કરવા રૂમ પર પહોંચ્યો હતો. રૂમ અંદરથી બંધ હોવાથી સ્ટાફે માસ્ટર કી વડે દરવાજો ખોલ્યો હતો. અંદર જતાં જ કિંજલ પંખા સાથે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવતા સ્ટાફ ચોંકી ગયો હતો. અને બનાવની જાણ પોલીસને કરી હતી. પાટણ અશ્વ ફામૅના માલિકે ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે. તેની ઝીણવટભરી રીતે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





