રેલવે સુરક્ષા બળ (આરપીએફ) પોસ્ટ આબુરોડ ખાતે ફરજ બજાવતા જવાનની સતર્કતા અને બહાદુરીના કારણે ચાલતી ટ્રેનમાંથી પડી રહેલા એક મુસાફરનો જીવ બચી ગયો હતો. આ ઘટના રવિવારે વહેલી સવારે પાલનપુર રેલવે સ્ટેશન ખાતે બની હતી.
મળતી માહિતી મુજબ, આરપીએફ પોસ્ટ આબુરોડના કોન્સ્ટેબલ કૈલાશચંદ વર્મા તા. 18 મેની રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીની ડ્યૂટી દરમિયાન પાલનપુર રેલવે સ્ટેશન પર ઇન્ટર ઝોનલ સીલ ચેકિંગ પોઇન્ટ ખાતે ફરજ પર તૈનાત હતા. સવારે અંદાજે 5:22 વાગ્યે ટ્રેન નંબર 22738 સિકંદરાબાદ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર-1 પરથી રવાના થઈ રહી હતી.
દરમિયાન પાસુનોખા, જિલ્લા બીકાનેર નિવાસી 40 વર્ષીય નૈનુરામ પુત્ર આઈદારામ ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતા અચાનક સંતુલન ગુમાવી ટ્રેનની નીચે પડી ગયા હતા. ત્યારે મોકા પર હાજર આરપીએફ જવાન કૈલાશચંદ વર્માએ પોતાની જાનની પરવા કર્યા વિના તાત્કાલિક દોડી જઈ મુસાફરને ટ્રેનની નીચે જતાં પહેલાં બહાર ખેંચી લીધો હતો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને મુસાફરનો જીવ બચી ગયો હતો.
આ બચાવ કામગીરી દરમિયાન જવાનની વર્દી પણ ફાટી ગઈ હતી તેમજ તેમને સામાન્ય ઈજાઓ અને ખંજવાળ જેવી ઇજા પહોંચી હતી.ઘટના બાદ સ્ટેશન પર હાજર મુસાફરો તથા રેલવે કર્મચારીઓએ જવાનની બહાદુરી, સતર્કતા અને ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી. સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આરપીએફ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જવાન દ્વારા કરવામાં આવેલી આ જીવન રક્ષક કામગીરીને રેલવે સુરક્ષા બળની તત્પરતા અને કर्तવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.





