જાહેર માર્ગો પરથી પશુઓ પકડી પાંજરાપોળ મોકલાયા, માલિકો પાસેથી રૂ.4 હજાર વસૂલાશે
અગાઉની સૂચનાઓ છતાં ઢોર રસ્તે છોડનાર સામે કાર્યવાહી; હવે ઝુંબેશ કેટલો સમય ચાલે છે ? તેના પર નજર
બનાસકાંઠા જિલ્લાનું મહત્વનું વેપારી અને તાલુકા મથક ડીસા શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ન વર્ષોથી વિકરાળ બન્યો છે. જાહેર માર્ગો, બજારો અને મુખ્ય રસ્તાઓ પર અડિંગો જમાવતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પર અકસ્માતનું જોખમ સતત તોળાતું રહ્યું છે. ભૂતકાળમાં રખડતાં ઢોરના કારણે મોતના બનાવો પણ બની ચૂક્યા છે. આખરે ડીસા નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને રખડતાં પશુઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે.
નગરપાલિકા દ્વારા ખાસ એજન્સીની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર રખડતાં પશુઓને પકડી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈએ પશુ માલિકો સાથે બેઠક યોજી જાહેર રસ્તાઓ પર પશુઓ નહીં છોડવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ છતાં સૂચનાનું પાલન ન થતાં હવે પાલિકાએ દંડાત્મક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. પાલિકા દ્વારા પકડાયેલા પશુને પરત મેળવવા માલિકે રૂ.3 હજાર દંડ ઉપરાંત રૂ.1 હજાર દૈનિક નિભાવ ખર્ચ મળી કુલ રૂ.4 હજાર ભરવાના રહેશે. આ કાર્યવાહીના પગલે રસ્તા પર પશુઓ છોડી દેતા માલિકોમાં ફફડાટ ફેલાયો છે.
ડીસામાં રખડતાં ઢોર માત્ર ટ્રાફિક સમસ્યા નહીં પરંતુ નાગરિકોની સલામતી માટે પણ ગંભીર પ્રશ્ન છે. ત્યારે પાલિકાની કાર્યવાહીથી હાલ રસ્તાઓ પર ઢોરનો ત્રાસ ઘટે તેવી આશા છે. જો કે શહેરજનોની લાગણી એ છે કે આ કાર્યવાહી માત્ર થોડા દિવસોની ‘ચાર દિનકી ચાંદની’ બનીને ન રહી જાય અને ઝુંબેશ નિયમિત રીતે ચાલુ રહે.





