કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીની મામલતદાર કચેરીમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને નવરચિત ઓગડ અને કાંકરેજ તાલુકાની સંકલન મિટિંગ યોજાઈ હતી. જેમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી,કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ઓગડ તાલુકા વિકાસ અધિકારી જીતેન્દ્ર રાવલ,થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સહિત થરા પીઆઈ વિંઝુડા અને શિહોરી પીઆઈ સહિત અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નેશનલ હાઈવે ઓર્થોરિટીના તાબામાં આવતા થરા અને શિહોરી વિસ્તારમાં પ્રીમોન્સુન કામગીરી નબળી અને કામગીરીમાં આંખ આડા કાન કરતાં કાંકરેજ તાલુકા મામલતદાર દ્વારા નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ઉપર પણ ટ્રાફિક જામ થઈ જવા બાબતે, થરા બસ સ્ટેશનથી રૂની રોડ નાળા પાસે સર્વિસ રોડ ઉપર આવેલી ગટરોમાં વરસાદી પાણીનો નિકાલ તેમજ રાણકપુર ખાતે આવેલ પાણીના સંપમાં સફાઈ કામગીરી બાબતે ખુલાસો માંગ્યો છે.સાથે સાથે ૩૦ એપ્રિલથી નર્મદા કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું જેનું મેન્ટેનેસ સહિત થરા અને શિહોરી નેશનલ હાઈવે રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ લગાવવા બાબતોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નેશનલ હાઈવે ઓર્થોરિટી ઉપર ગંભીર આક્ષેપ કરીને મનમાની ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે આવનારા દિવસોમાં ચોમાસાની ઋતુમાં તંત્ર દ્વારા પ્રોમોન્સુન બાબતે કેવી કામગીરી કરવામાં આવશે ? તે જોવું રહ્યું.





