વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓની રક્ષા માટે બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. ડીસા મામલતદાર કચેરી ખાતે આજે આયોજિત એક કાર્યક્રમમાં પક્ષીઓ માટે માળા (ચકલીઘર) અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુવારે 1000 જેટલા પાણીના કુંડા અને ચકલીઘર ડીસા શહેર મામલતદાર દિવાકર એન. બધેચાના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમિતિના સક્રિય સભ્યો હીનાબેન વકીલ, રમેશભાઈ જેઠવા, જગદીશભાઈ પઢીયાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી અને આશરો મળી રહે તે હેતુથી આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મામલતદાર શ્રી બધેચાએ સમિતિના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે દરેક નાગરિકે પક્ષીઓ માટે પોતાના ઘરના આંગણે કે અગાશી પર પાણી અને ચણની વ્યવસ્થા કરવી જોઈએ. બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષોથી જીવદયાના કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સેંકડો જરૂરિયાતમંદ નાગરિકોએ આ સેવાનો લાભ લીધો હતો.





