વકીલો, પક્ષકારો અને સ્ટાફને તાત્કાલિક પ્રાથમિક સારવારની સુવિધા
વાવ–થરાદ વિસ્તારની લાખણી તાલુકા કોર્ટ પરિસરમાં વકીલો, પક્ષકારો તથા કોર્ટ સ્ટાફની આરોગ્ય સુવિધાને ધ્યાનમાં રાખી નવનિર્મિત ‘આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવા કેન્દ્રનો શુભારંભ નામદાર જિલ્લા ન્યાયાધીશ એ.જે. કાનાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન પ્રસંગે જજ એચ. જે. ઠક્કર, એ. એચ. ત્રિવેદી, લાખણી કોર્ટના જજ જે. ડી. ત્રિવેદી, લાખણી બાર એસોસિએશનના પ્રમુખ પી. જે. ડાભી, લાખણીના તબીબી અધિકારી તેમજ સરકારી વકીલ એ. વી. જોષી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા સેવા કેન્દ્રના પ્રારંભને આવકાર્યો હતો.
આ આરોગ્ય સેવા કેન્દ્ર શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ કોર્ટ સંકુલમાં આવતા પક્ષકારો, વકીલો અને સ્ટાફને આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક તથા પ્રાથમિક સારવાર સરળતાથી મળી રહે તેવો છે. નવી સુવિધા શરૂ થતાં કોર્ટ પરિસરમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે અને જરૂરિયાત સમયે ઝડપી સારવાર ઉપલબ્ધ થવાથી લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.સ્થાનિક સ્તરે આ પહેલને સરાહનીય ગણાવી સૌએ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.





