સાબરકાંઠા જિલ્લાના વનબંધુ બહુલ વિસ્તાર એવા કાલવણ અને વડાલીના અંતરિયાળ કેસરગંજ ખાતે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય અભિયાનમાં ગ્રામીણ જનતાએ ઉષ્માભર્યો પ્રતિસાદ આપતા કુલ ૩૧ યુનિટ રક્ત એકત્રિત થયું છે, જે જિલ્લાના જરૂરતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ અને જાગૃતિ પહોંચાડવાના ભાગરૂપે આ રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વનબંધુ વિસ્તારોમાં રક્તદાન પ્રત્યે વધેલી જાગૃતિ એ તંત્રની સફળતા દર્શાવે છે. આ અભિયાનમાં GMERS મેડિકલ કોલેજ, હિંમતનગરના પેથોલોજી વિભાગ અને બ્લડ બેન્ક તેમજ જાયન્ટ્સ સહિયર ગ્રુપ, હિંમતનગરનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થા દ્વારા ઇનામો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રક્તદાન એ માનવજાત પ્રત્યેનું સર્વોત્કૃષ્ટ દાન છે. અંતરિયાળ વિસ્તારોમાંથી એકત્રિત થયેલું આ ગુણવત્તાસભર રક્ત અચાનક આવતી તબીબી ઇમરજન્સી, પ્રસૂતિજન્ય જટિલતાઓ અને ગંભીર સર્જરી દરમિયાન દર્દીઓનું જીવન બચાવવા માટે અમૂલ્ય સાબિત થશે. વનબંધુ વિસ્તારોના દાતાઓની આ સેવાભાવનાને તંત્ર દ્વારા હૃદયપૂર્વક બિરદાવવામાં આવી છે. આ સફળ આયોજનથી જિલ્લામાં સલામત રક્ત પૂરું પાડવાની આરોગ્ય વિભાગની ક્ષમતા વધુ મજબૂત બની છે.





