અપડાઉન કરતા શિક્ષકોના કારણે શૈક્ષણિક કાર્યને અસર: જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતે કડક કાર્યવાહીના આપ્યા સંકેત
બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાના પ્રયાસો વચ્ચે હવે અપડાઉન કરતા શિક્ષકો સામે જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતે લાલ આંખ કરી છે. ખાસ કરીને શાળાથી 8 કિ.મી.થી વધુ અંતરેથી અપડાઉન કરતા શિક્ષકો સામે તવાઈ હાથ ધરવાના સંકેતો આપવામાં આવ્યા છે.
જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓ માં કેટલાક શિક્ષકો 100થી 200 કિ.મી. સુધીના અંતરેથી અપડાઉન કરતા હોવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા અંતરના અપડાઉનને કારણે શિક્ષકોના સમયસર શાળામાં પહોંચવા, નિયમિત હાજરી અને શૈક્ષણિક કામગીરી પર વિપરીત અસર થતી હોવાની રજૂઆતો વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખે આ મામલે કડક અભિગમ અપનાવ્યો છે.
બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શાળાઓમાં શિક્ષકોની નિયમિત હાજરી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું જરૂરી હોવાનું જણાવી જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતે અપડાઉન કરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવાની દિશામાં સંકેતો આપ્યા છે. આગામી સમયમાં આવા શિક્ષકોની વિગતો મેળવી નિયમો મુજબ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. શિક્ષકોની શાળામાં નિયમિત હાજરી, સમયપાલન અને બાળકોને પૂરતો શૈક્ષણિક સમય મળે તે માટે જિલ્લા પંચાયત પ્રમુખનો આ આક્રમક અભિગમ કેટલો અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર છે.





