ભાદરવી પૂનમ પહેલા લોકોમાં ચિંતા, આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો
જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં છેલ્લા પંદર દિવસથી ભૂંડ જાતિના પશુઓમાં અજાણ્યા રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 300 થી 400 જેટલા ભૂંડોના મોત થતાં સ્થાનિકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ રોગ માત્ર ભૂંડ જાતિના પશુઓમાં જ જોવા મળ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
અંબાજીના વિવિધ વિસ્તારો અને ખૂણે-ખાંચરે દરરોજ મૃત ભૂંડો મળી રહ્યા છે. ગ્રામ પંચાયતના આદેશ બાદ સફાઈ કર્મચારીઓ મૃત પશુઓને ઉપાડવાની પ્રસંસનીય કામગીરીમાં જોડાયા છે અને રોજ અનેક ટ્રેક્ટરોમાં મૃત ભૂંડોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા મૃત ભૂંડોના નમૂનાઓ અને વિસેરા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પંચાયતના જણાવ્યા મુજબ મૃત પશુઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાડા ખોદી દવાનો છંટકાવ કરીને દફનાવવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સ્તરે મૃત ભૂંડોમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે અધિકૃત તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.





