કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ધી કાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીની અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે સહકારી આગેવાન અમરતભાઈ રામાભાઈ દેસાઈ તથા વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ છત્રસિંહ વાઘેલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના બુકોલી ગામના વતની અમરતભાઈ દેસાઈ વર્ષોથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. સંઘના 15 ડિરેક્ટરો માટે ભાજપ.દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આજે
તા. 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે શિહોરી સ્થિત સંઘની કચેરી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચેરમેન પદ માટે અમરતભાઈ દેસાઈના નામની દરખાસ્ત કલાભાઈ ખેતાભાઈ પટેલે કરી હતી, જેને ભરતકુમાર રતિલાલ શાહે ટેકો આપ્યો હતો. જ્યારે વાઇસ ચેરમેન પદ માટે કરણસિંહ વાઘેલાના નામની દરખાસ્ત અમરસિંહ મફાજી સોલંકીએ કરી હતી અને માંડણભાઈ ભેમાભાઈ પટેલે ટેકો આપ્યો હતો. બંને હોદ્દા માટે અન્ય કોઈ ઉમેદવારી ન હોવાથી ઉપસ્થિત ડિરેક્ટરોએ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું. ત્યારબાદ અમરતભાઈ દેસાઈની ચેરમેન તરીકે તથા કરણસિંહ વાઘેલાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી.
બિનહરીફ વરણી બાદ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનનું ફૂલહાર પહેરાવી તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો, સહકારી આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી બંને નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરો તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને હોદ્દેદારોની બિનહરીફ વરણીને પગલે કાંકરેજ તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સંકળાયેલા આગેવાનો અને કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.





