જૂના વૃક્ષોને રીપ્લાન્ટ કરવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર
પાલનપુર શહેરમાં એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધી બની રહેલા આઇકોનિક આઠ લેન માર્ગના નિર્માણને શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવતા શહેરના જાગૃત નાગરિકોએ માર્ગ વિસ્તરણ દરમિયાન વર્ષો જૂના લીલાછમ વૃક્ષોના નિકંદન સામે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે નાગરિકોએ જિલ્લા કલેક્ટર તેમજ આર એન્ડ બી વિભાગને આવેદનપત્ર પાઠવી વૃક્ષોને કાપવાના બદલે આધુનિક પદ્ધતિથી ડાળી સહિત રીપ્લાન્ટ કરવાની માંગ કરી છે.
આવેદનમાં જણાવાયું છે કે, એરોમા સર્કલથી શહેર તરફના માર્ગ પર આવેલા અનેક વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનું તંત્ર દ્વારા રીપ્લાન્ટ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 50 ટકા જેટલા વૃક્ષો દૂર કરી દેવાયા હોવાનું અને બાકીના વૃક્ષોને પણ કાપવાની પ્રક્રિયા ચાલુ હોવાનું નાગરિકોએ જણાવ્યું છે. નાગરિકોની માંગ છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વૃક્ષોનું નિકંદન ન કરવામાં આવે. જો અપવાદરૂપ સંજોગોમાં વૃક્ષો દૂર કરવાના જ હોય તો આધુનિક ટેક્નોલોજી મુજબ વૃક્ષોને જડમૂળ સહિત ડાળી સાથે સુરક્ષિત સ્થળે રીપ્લાન્ટ કરવામાં આવે, જેથી પર્યાવરણની સુંદરતા અને હરિયાળી જળવાઈ રહે.
ગ્રીન ટ્રીબ્યુનલના દ્વાર ખખડાવવાની ચીમકી
'વૃક્ષો બચાવો, પાલનપુર બચાવો'ના નારા સાથે આપવામાં આવેલા આ આવેદનમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે, જો તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગ્રીન ટ્રિબ્યુનલ, અમદાવાદ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે.





