ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે તા. ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ વય નિવૃત્ત થયેલા ચાર એ.એસ.આઈ. પોલીસ જવાનોના માનમાં પોલીસ અધિકારીઓના અધ્યક્ષ સ્થાને ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો. વર્ષો સુધી કાયદો- વ્યવસ્થા જાળવવા તથા પ્રજાની સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર જવાનોને ઉષ્માભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.પોલીસ વિભાગમાં લાંબી સેવા બાદ વય નિવૃત કેવળભાઈ જી. છત્રાલિયા (એ.એસ.આઈ., જુના ડીસા), અમરતભાઈ રગાભાઈ છત્રાલિયા (એ.એસ.આઈ., જુનાડીસા), ભીખાભાઈ મકવાણા (એ.એસ.આઈ., ડીસા) તથા સિંધીભાઈ (એ.એસ.આઈ., ચંડીસર) ને સાલ ઓઢાડી, ફૂલહાર અર્પણ કરી તેમજ વિવિધ ભેટ-સોગાદ આપી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ નિવૃત્ત જવાનોની લાંબી સેવા યાત્રા, ફરજનિષ્ઠા, શિસ્ત અને પ્રજાલક્ષી અભિગમને બિરદાવ્યો હતો. તથા તેમનું નિવૃત્ત જીવન સુખમય, તંદુરસ્ત અને દીર્ઘાયુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પરિવારજનો, સ્નેહીજનો, સાથી પોલીસ જવાનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિવૃત્ત જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.





