ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં યોજાતી ઐતિહાસિક રાત્રિ પૂજામાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજદાર ટ્રસ્ટનો દાવો છે કે અગાઉ અંદાજે 30 જેટલા ટ્રસ્ટોને આ પૂજાની પરવાનગી મળતી હતી, પરંતુ હવે માત્ર 9 જેટલા નાગર બ્રાહ્મણોના ટ્રસ્ટોને જ મંજૂરી આપી અન્ય શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાવવામાં આવી રહી છે. અરજીમાં ટ્રસ્ટે પોતાને પણ રાત્રિ પૂજા કરવાની મંજૂરી આપવા માંગ કરી છે.અંબાજી મંદિરમાં યોજાતી પરંપરાગત રાત્રિ પૂજાનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. અમદાવાદના નરોડા સ્થિત જય સીયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટે રાજ્ય સરકાર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પક્ષકાર બનાવી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.અરજદારનો દાવો છે કે અગાઉ અંબાજી મંદિરમાં લગભગ 30 જેટલા ટ્રસ્ટોને રાત્રિ પૂજાની મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ હવે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માત્ર નાગર બ્રાહ્મણોના 9 ટ્રસ્ટોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. અરજદારના મતે આ નિર્ણય ભેદભાવપૂર્ણ છે અને અન્ય ટ્રસ્ટોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.અરજીમાં જણાવાયું છે કે અંબાજીની રાત્રિ પૂજા વર્ષોથી ચાલતી આવતી એક પ્રાચીન ધાર્મિક પરંપરા છે. અગાઉ એક સંઘમાંથી મહત્તમ 200 શ્રદ્ધાળુઓને રાત્રે 9:45 વાગ્યાથી મધરાત સુધી પૂજા કરવાની મંજૂરી આપવામાં આવતી હતી.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી શરતો પણ લાગુ કરવામાં આવતી હતી. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંજૂરી મેળવનારા ટ્રસ્ટોને અનેક શરતોનું પાલન કરવાનું રહે છે. જેમાં દર વર્ષે રાત્રિ પૂજાનો હક આપોઆપ મળશે નહીં, ધાર્મિક લાગણી દુભાય તેવું કોઈ કૃત્ય નહીં કરવું, કાયદો-વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી લેવી અને 200થી વધુ લોકોને પ્રવેશ નહીં આપવાનો સમાવેશ થાય છે.હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મર્યાદિત ટ્રસ્ટોને જ રાત્રિ પૂજાની મંજૂરી આપવામાં આવી છે.બીજી તરફ અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી કે હાટકેશ્વર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અગાઉ તેમની રાત્રિ પૂજા દરમિયાન મંદિરના ગેટ પર સુરક્ષા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન થયાની ફરિયાદ થઈ હતી. ઉપરાંત સરકારની ભલામણના આધારે ત્રણ ટ્રસ્ટોને મંજૂરી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો.અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ વિશાલ મહેતાએ જણાવ્યું કે અંબાજીમાં રાત્રિ પૂજા એક લાંબા સમયથી ચાલી આવતી ધાર્મિક પરંપરા છે અને અગાઉ અનેક ટ્રસ્ટોને સમાન રીતે તક આપવામાં આવતી હતી. હવે માત્ર પસંદગીના ટ્રસ્ટોને જ મંજૂરી આપવામાં આવતા સમાનતાના સિદ્ધાંતનો ભંગ થાય છે. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે જો સુરક્ષા અંગે ચિંતા હોય તો જરૂરી શરતો લાદી શકાય, પરંતુ અન્ય ટ્રસ્ટોને સંપૂર્ણપણે બહાર રાખવું યોગ્ય નથી.હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરાશે. અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરી અંગે હાઈકોર્ટ શું નિર્ણય આપે છે તેના પર અનેક ધાર્મિક ટ્રસ્ટો અને શ્રદ્ધાળુઓની નજર છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /અંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
અંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
1 કલાક પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
1 કલાક પહેલા
ઉત્તર ગુજરાતભીલડીમાં લાયસન્સ વિના ચાલતું સ્પા ઝડપાયું
1 કલાક પહેલા
ઉત્તર ગુજરાતદિયોદર રોડ પર ગાયને બચાવવા જતાં અકસ્માત
2 દિવસ પહેલા
