પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામજનોએ ગામના બાળકો અને યુવાનોના આરોગ્ય તથા ભવિષ્યને ધ્યાનમાં રાખી વ્યસનમુક્તિ માટે મહત્વનો સામૂહિક નિર્ણય લીધો છે. બાદરગઢ ગામમાં યોજાયેલી ગ્રામસભામાં દુકાનોમાં વેચાતા પેકિંગ પડીકા, ગુટકા સહિતના નશાકારક પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામમાં દારૂના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
ગ્રામસભામાં નક્કી કરાયા મુજબ 1 સપ્ટેમ્બરથી ગામમાં પડીકા, ગુટકા અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ગામમાં આ વસ્તુઓનું વેચાણ કરતા ઝડપાશે તો તેની પાસેથી રૂ. 1,000નો દંડ વસૂલવા ઉપરાંત તેનું નળ અને વીજ કનેક્શન કાપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.ગામલોકોના જણાવ્યા મુજબ બાળકોના આરોગ્ય અને સુખાકારીનું રક્ષણ થાય, તેઓ ગંભીર બીમારીઓથી બચી શકે તેમજ ગામના યુવાનો વ્યસનના રવાડે ચડીને પોતાનું ભવિષ્ય બરબાદ ન કરે તે હેતુથી આ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યસનમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાદરગઢ ગ્રામજનોએ લીધેલા આ નિર્ણયની આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા થઈ રહી છે.





