નવી ડ્રાફ્ટ જંત્રી મુજબ 4 થી 6 ગણું વળતરની માગ કરાઈ
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાધનપુર-પાટણ સેક્શન (NH-68) માટે જમીન સંપાદનનું જાહેરનામું બહાર પડાતા પાટણના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પાટીદાર કિસાન સેના અને અસરગ્રસ્ત ખેડૂતોએ એકઠા થઈ ચિટનિશ ટુ કલેક્ટરને સત્તાવાર વાંધા અરજી સુપ્રત કરી હતી.ખેડૂતોએ આ રોડ પ્રોજેક્ટ તાકીદે રદ કરવાની માંગ સાથે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. પાટણ તાલુકાના રાજપુર, અનાવાડા અને શહેરના સાંડેસરપાટી તથા બકરાતપુરા વિસ્તારના ખેડૂતોના હિતમાંઆ વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. સાંડેસરપાટી પાટણ શહેરની હદને અડીને આવેલો અત્યંત વિકસિત વિસ્તાર છે. શહેરના આંતરિક ભાગમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર કરવાથી અર્બન પ્લાનિંગ ખોરવવાની સાથે ભારે વાહનોથી અકસ્માત અને પ્રદૂષણ વધવાની ભીતિ છે.પાટણ શહેરના વિકાસ નકશા (DP) અને TP સ્કીમ હેઠળ ખેડૂતોના ખેતરો માંથી અગાઉથી જ રસ્તાઓની કપાત દર્શાવેલી છે. TP સ્કીમમાં 40% સુધીની જમીન કપાતમાં જવાની શક્યતા રહેલી છે.જો આ સંજોગોમાં NH-68 બાયપાસ પણ કાઢવામાં આવે તો ખેડૂતોએ પોતાની કિંમતી જમીન મોટા પ્રમાણમાં ગુમાવવાનો વારો આવશે.
સંપાદિત થનારી જમીન પાટણના ગ્રોથ સેન્ટર નજીક આવેલી હોવાથી તેમાં ભારે વાણિજ્યિક સંભાવનાઓ રહેલી છે. જૂની જંત્રી મુજબ વળતર આપવું અન્યાયી હોઈ, જમીન સંપાદન કાયદાની કલમ 26 મુજબ નવા ડ્રાફ્ટ જંત્રી-2024 ને બેઝ રેટ ગણી તેના ઓછામાં ઓછા 4 થી 6 ગણા વળતરની ગણતરી કરવાની માંગ કરાઈ છે.રાજપુર ગામના ઘણા સર્વે નંબરો બિનખેતી (NA) થયેલા છે અને આ સમગ્ર પટ્ટો વ્યવસાયિક વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. અહીં ચાલુ બજાર ભાવ અંદાજે 1 વીઘાના 5 કરોડ જેટલો અંકાઈ રહ્યો છે. આવા સમયે ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર આપવું અત્યંત જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
સરકારી જાહેરનામામાં સર્વે નંબર દર્શાવાયા છે પરંતુ કયા ખેડૂતનો કેટલો હિસ્સો જશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી ખેડૂતોની ગેરહાજરીમાં થયેલું સીમાંકન રદ કરી તેમની હાજરીમાં સંયુક્ત સ્થળ માપણી (Joint Survey) કરવાની માંગ કરાઈ છે. ઉપરાંત કિંમતી ખેતીની જમીનને બદલે હયાત રસ્તા કે સરકારી ખરાબાનો ઉપયોગ કરવા પણ ખેડૂતો દ્વારા સૂચન કરાયું હોવાનું જાણવા મળ્યું છે.





