રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર અને મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે હવાઈ પિલ્લર ખાતે ભૂમિપૂજન સંપન્ન
અંતરિયાળ વિસ્તારના હસ્તકલા કારીગરો અને સ્વનિર્ભર જૂથો માટે રોજગારીની નવી બારી ખુલશે
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે પ્રાદેશિક કલા, કુટિર ઉદ્યોગ અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા એક મોટો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ડીસાના હવાઈ પિલ્લર પાસે અંદાજે રૂ. 21કરોડના માતબર ખર્ચે તૈયાર થનારા આધુનિક 'અર્બન હાટ'નું ખાતમુહૂર્ત બુધવારે એક પ્રેરક સમારોહમાં કરવામાં આવ્યું હતું. રાજ્યના ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર તેમજ વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું હતું. જો કે, પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ આવનાર કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ કોઈ અનિવાર્ય કારણોસર આ અવસરે ઉપસ્થિત રહી શક્યા ન હતા.
મંત્રી સ્વરૂપજી ઠાકોર પ્રેસ અને મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ પ્રોજેક્ટનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, "ડીસામાં નિર્માણ પામનારું આ અર્બન હાટ આસપાસના ગ્રામીણ અને શહેરી કારીગરો માટે વરદાન સાબિત થશે. આપણા પોતાના જ વિસ્તારમાં બનતી સ્વદેશી અને હસ્તકલાની ચીજવસ્તુઓનું અહીં સીધું વેચાણ થઈ શકશે, જેથી વચેટિયાઓ દૂર થશે અને સ્થાનિક લોકોને મોટી રોજગારી મળશે. અદ્યતન સુવિધાઓ અને નવતર અભિગમ સાથે તૈયાર થનારા આ કેન્દ્રથી લોકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે આકર્ષણ વધશે. આ પ્રોજેક્ટના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભરતાનું સપનું સાકાર થશે."
બનાસકાંઠાના આ વિકાસ ઉત્સવમાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો અને તાલુકા પંચાયતના સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આગામી ટૂંક સમયમાં જ આ અર્બન હાટ ધમધમતું થશે, જે સમગ્ર જિલ્લાના નાના વેપારીઓ અને હુન્નર ધરાવતા લોકો માટે એક મોટું અને કાયમી પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ભગીરથ કાર્ય બદલ સમગ્ર ડીસા પંથકના આગેવાનોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.





