આજે પણ વકીલો ધરણાં યોજી વિરોધ જતાવશે
બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા અદાલતોને જગાણા ખસેડવાની હિલચાલ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર બાર એસોસીએશનના વકીલો દ્વારા પણ અદાલતોને જગાણા ખસેડવા સામે વિરોધ વ્યક્ત કરતા ધરણાં યોજવામાં આવ્યા હતા.
જિલ્લાના મુખ્યમથક પાલનપુર ના જોરાવર પેલેસમાં જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટો આવેલી છે. જે અદાલતોને પાલનપુરથી સાતેક કિલોમીટર દૂર જગાણા ગામમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. જેની સામે વકીલોએ પણ મોરચો માંડ્યો છે. પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટો જગાણા ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે, કોઈ પરિણામ ન મળતા હવે વકીલો પણ આંદોલનના માર્ગે વળ્યાં છે. આજે વકીલોએ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું પાલનપુર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ વાઘેલા એ જણાવ્યું હતું. આમ, બે દિવસ પૂર્વે કાળી પટ્ટી ધારણ કર્યા બાદ આજે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરનારા વકીલોએ કોર્ટોના સ્થળાંતરને લઈને અંત સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
આજે પણ વકીલોના પ્રતિકાત્મક ધરણાં
જોકે, કોર્ટ સંકુલ જગાણા ખસેડવાથી જિલ્લાભરના પક્ષકારો અને વકીલો પર આર્થિક બોજો વધશે. જેથી પ્રજાના હિતમાં વકીલોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે 18 એપ્રિલને શનિવારે પણ વકીલો પ્રતિકાત્મક ધરણાં યોજી વિરોધ જતાવશે તેવું પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ રાવલે જણાવ્યું હતું.





