બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપના મજબૂત ગઢ ગણાતા ડીસા પંથકમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યું છે. રસાણા ગામના ભાજપના સક્રિય કાર્યકરો સહિત અનેક સામાજિક અગ્રણીઓએ કેસરીયો ત્યાગી વિધિવત રીતે 'ઝાડુ' નો સાથ સ્વીકારતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે ડીસા તાલુકાના રસાણા ગામના ભાજપના 6 જેટલા નિષ્ઠાવાન કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આ સાથે જ સામાજિક ક્ષેત્રે વર્ચસ્વ ધરાવતા અગ્રણીઓ પણ પરિવર્તનની લહેરમાં જોડાયા છે. જેમાં શાંતીભાઈ છત્રાલિયા સામાજિક અગ્રણી, (મહાદેવિયા) અને રવીભાઈ દરજી સામાજિક અગ્રણી, (પેછડાલ) પોતાના વિશાળ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ડીસા સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે 'યુવા જોડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજકરણજી ઠાકોર અને શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર દ્વારા તમામ નવા સભ્યોને પાર્ટીનો ખેસ પહેરાવી વિધિવત રીતે આવકારવામાં આવ્યા હતા. લોકો હવે પ્રસ્થાપિત રાજનીતિથી કંટાળીને પરિવર્તન ઝંખે છે. આમ આદમી પાર્ટીની જનહિતની વિચારધારાથી પ્રભાવિત થઈને લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે.
ભાજપના મજબૂત ગઢ ગણાતા ગ્રામ્ય વિસ્તારોમાંથી કાર્યકરોનું આમ આદમી પાર્ટીમાં જવું એ આવનારા સમય માટે મોટા સંકેત સમાન છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે કાર્યકરોનો આ મોહભંગ આગામી ચૂંટણીઓમાં ડીસા પંથકના રાજકીય ગણિતોમાં ઉથલપાથલ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાના ગઢને બચાવવા કેવા પગલાં ભરે છે ?





