શહેરના આનંદેશ્વર મહાદેવ નજીક ઝાડીઓમાં બળજબરી કરી, એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કિર્તન રાજપુત નામના શખ્સ સામે પોક્સો-એટ્રોસિટીની ફરિયાદ પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોધાવા પામી છે. આરોપી કિર્તન રાજપુતે કિશોરી સાથે અગાઉથી પરિચય કેળવ્યો હતો. બનાવ સમયે ૧૭ વર્ષ,૧૦ મહિના અને ૩ દિવસની વય ધરાવતી સગીરા સગીર વયની હોવાનું જાણવા છતાં તેણે સબંધ રાખ્યા હતા.
જાન્યુઆરી 2026 માં પાટણના આનંદેશ્વર મહાદેવ તરફ આવેલી ઝાડીઓમાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આટલું જ નહીં, આરોપીએ સગીરાને જાતિ વિષયક અપમાનિત કરી તેના ભાઈ તથા પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.આ અંગે ભોગ બનનાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.





