મહેસાણા રેલ્વે પોલીસે ઓળખ માટે નાગરિકોને અપીલ કરી : મૃતદેહ કોલ્ડરૂમમાં રખાયો
પાટણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવતા આશરે 50 વર્ષના એક અજાણ્યા પુરુષનું મોત થયું છે. મહેસાણા રેલ્વે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કરી રહી છે. આ ઘટના પાટણ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે કિલોમીટર નંબર 38/11-12 વચ્ચે બની હતી. ટ્રેન નંબર 20492 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસની અડફેટે આ પુરુષ આવી ગયો હતો. ટ્રેનની ટક્કરથી તેને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
ઘટના બાદ મૃતદેહનું પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પંચનામું અને પોસ્ટમોર્ટમકરવામાં આવ્યું હતું. હાલમાં મૃતદેહને ઓળખ માટે ધારપુર સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.મૃતકના શારીરિક વર્ણન પ્રમાણે, તેની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ છે. તેનો રંગ શ્યામ છે અને તેનો બાંધો મધ્યમ છે. માથે કાળા-સફેદ વાળ અને ચહેરા પર અડધી કાળી-સફેદ દાઢી છે. મૃતકનો જમણો હાથ કોણીના ભાગેથી કપાયેલો છે.તેના જમણા હાથના કાંડાની ઉપરના ભાગે ગુજરાતીમાં "અજય" તથા "કાજલ" નામ ત્રોફાવેલું છે. ઘટના સમયે મૃતક શરીરે કપડાં વગરનો હતો અને કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલું હતું. આ બનાવની વધુ તપાસ મહેસાણા રેલ્વે પોલીસ સ્ટેશન (પાટણ આઉટપોસ્ટ) નાએએસઆઈ વિસાભાઈ સરતાનભાઈ કરી રહ્યા છે. પોલીસે નાગરિકોને મૃતકની ઓળખ કરવામાં મદદ કરવા અપીલ કરી છે.





