ભંગારના 4 વાડાના સંચાલકો અને એક ગેસ્ટ હાઉસ મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ અર્થે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ એસ.ઓ.જી. શાખા દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ ચાર ભંગારના વાડાના સંચાલકો અને એક ગેસ્ટ હાઉસના મેનેજર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
આ કાર્યવાહી પાટણ શહેર, ચાણસ્મા અને રાધનપુર વિસ્તારોમાં કરવામાં આવી હતી. ભંગારના વાડાના સંચાલકો સામે ખરીદ - વેચાણનું રજીસ્ટર ન નિભાવવા બદલ ગુના નોંધાયા છે, જ્યારે ગેસ્ટ હાઉસના મેનેજર સામે ગ્રાહકોની વિગતો ઓનલાઈન અપલોડ ન કરવા બદલ કાર્યવાહી થઈ છે.એસ.ઓ.જી.ની ટીમે પાટણ સીટીના પદમનાથ વિસ્તારમાં વિજય હનુમાન મંદિર સામે આવેલા આરીફભાઈ મેમણ (ઉં.વ. 36)ના ભંગારના વાડામાં તપાસ કરતા કોઈ રજીસ્ટર મળ્યું ન હતું. આથી પાટણ સીટીબી-ડિવિ
ઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તેવી જ રીતે, ચાણસ્મા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ભંગારનો વાડો ચલાવતા વિજયભાઈ દેવીપૂજક (ઉં.વ. 50, રહે. મોતીસા,પાટણ)ના વાડામાં પણ રજીસ્ટર ન હોવાથી ચાણસ્મા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. રાધનપુરમાં વારાહી હાઇવે રોડ પર આવેલા ભંગારના બે અલગ-અલગ વાડાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.અસલમ ધાંચી (ઉં.વ. 27) અને સલીમભાઈ ધાંચીના વાડામાંથી પણ સર-સામાનના ખરીદ કે વેચાણ અંગેના કોઈ સત્તાવાર રજીસ્ટર મળી આવ્યા ન હતા. આથી રાધનપુર પોલીસ મથકે આ બંને વેપારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ભંગારના વાડાઓ ઉપરાંત, એસ.ઓ.જી. શાખા દ્વારા રાધનપુર વારાહી હાઇવે રોડ પર આવેલી ગેલેક્સી હોટેલ/ગેસ્ટ હાઉસમાં પણ ચેકિંગ કરાયું હતું. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, હોટેલમાં રોકાતા ગ્રાહકોની વિગતો ઓનલાઈન પથિક સોફ્ટવેરમાં અપલોડ કરવી ફરજિયાત છે. જોકે,ગેસ્ટ હાઉસના મેનેજર પ્રવિણજી (ઉં.વ. 25, તા. સરસ્વતી) એ ગ્રાહકોની ઓનલાઈન એન્ટ્રી ન કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આથી તેમની સામે પણ રાધનપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.





